સવેરા ગુજરાત રાજકોટ, તા. 31 :
મોરબીમાં સર્જાયેલી પુલ દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબી આવી રહ્યા છે અને તેઓ પીડિત પરિવારોને મળશે તેમજ સારવાર લઇ રહેલા ઘાયલો સાથે પણ મુલાકાત કરશે અને તેમને સાંત્વના આપશે. વડાપ્રધાન હાલ ગુજરાતના જ પ્રવાસે છે આજે સવારે કેવડીયા કોલોની ખાતે એકતા માર્ચની સલામી ઝીલી હતી અને બાદમાં તેઓ અમદાવાદ સહિતના કાર્યક્રમોમાં જોડાયા હતા.
આ સમયે આજે વડાપ્રધાન કાર્યાલય તેમજ મુખ્યમંત્રી કાર્યાલયે ટવીટ કરીને માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે 1 વાગ્યે મોરબીમાં પીડિત પરિવારોને મળવા માટે આવશે તેઓ સવારે રાજકોટ વિમાની મથકે પહોંચ્યા બાદ હેલીકોપ્ટરમાં મોરબી જવા રવાના થાય તેવો કાર્યક્રમ તૈયાર થઇ રહ્યો છે. મોદી 3 થી 4 કલાક મોરબીમાં રોકાશે અને બાદમાં રાજકોટ થઇને પરત જશે.
મોરબી દુર્ઘટનાના પગલે ભાજપે તેમના આવતીકાલ તા.1ના સ્નેહમિલન સહિતના કાર્યક્રમો મુલત્વી રાખ્યા છે અને ગુજરાતમાં આગામી તા.રના રોજ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાના સંકેત છે. વડાપ્રધાન મોદી આવતીકાલ તા. 1 નવેમ્બરે રાજસ્થાનના આદિવાસી જિલ્લા બાસવાળામાં પણ આવી રહ્યા છે જેમાં પ્રમુખ તીર્થસ્થળ માનગઢ ધામમાં એક સભાને સંબોધીત કરશે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસીઓ હાજરી આપશે.