મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું પંખીના માળા જેવું રળિયામણું આદર્શ વાઘજીપુર ગામ. આ ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે. જે હજારો આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓનું પરમ આસ્થા કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વસતા તે તે મુમુક્ષુ જીવો પર અપાર કરુણા કરી અને આજથી ૪૭ વર્ષ પહેલાં શ્રી સ્વામિનારાયણ મંદિરની રચના કરી હતી અને એમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રી અને સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગરના બસ્સો કરતાં પણ વધારે ગામોમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આશ્રિતો પ્રભુ ભજન કરી અને ભગવાનને રીઝવવા ભક્તિ કરી રહ્યા છે. વર્ષમાં જ્યારે પાટોત્સવ દિન આવે ત્યારે ભક્તોનું ઘોડાપૂર શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનાં સમીપ દર્શન માટે ઉત્સુકતાથી ઉમટે છે. આજે પાટોત્સવ દિને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિય
દાસજી સ્વામીજી મહારાજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ૪૭ મો પાટોત્સવ વિધિ, અમૃત પાક,
મોહનથાળ, મેસુબ વગેરે પકવાનો અને ફરસાણથી રસસભર અન્નકૂટ ધરાવી આરતી ઉતારી હતી. આ પ્રસંગે હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, યુવા શિબિર, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના વધુ અભ્યાસ માટે આર્થિક સહાય, પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ શ્રવણ વગેરે અનેક ધાર્મિક કાર્યક્રમો આજના દિવસે ઉજવવામાં આવ્યા હતા. જેનો હજારો હરિભક્તોએ લાભ લીધો હતો.