સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૧
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ગાંધીનગરમાં દેવીપૂજક સમાજ આયોજિત સ્નેહમિલનમાં અભિવાદન સન્માન સમાજે કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરકારની દરેક યોજનામાં કેન્દ્રસ્થાને સમાજના હરેક વર્ગો, નાનામાં નાના માનવી છેવાડાના અંત્યોદને રાખ્યો છે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વડાપ્રધાનશ્રીએ સૌને વિકાસના અવસરો પૂરા પાડ્યા છે તેમણે ઉમેર્યુ કે, આ રાજ્ય સરકાર પણ વડાપ્રધાનશ્રીએ કંડારેલી સર્વગ્રાહી વિકાસની પરિપાટીએ ચાલીને છેવાડાના નાનામાં નાના માનવી સુધી યોજનાઓના લાભ આપી રહી છે
. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના જેવા કપરા સમય પછી નાના વેપારી વર્ગો, જરૂરતમંદોને ફરી બેઠા કરવા સહાય, કોરોના દરમ્યાન ફ્રી રાશન અને મફત વેક્સિનેશન આપીને વડાપ્રધાનશ્રીએ અંત્યોદય વિકાસની ભાવનાને મૂર્તિમંત કરી છે. ભૂપેન્દ્ર પટેલે દેવીપૂજક સમાજ સહિત જરૂરતમંદ વર્ગોની સહાય માટેની શૈક્ષણિક યોજના, સ્વરોજગાર યોજનાઓના વધુને વધુ લાભ લેવા પણ આ તકે અનુરોધ કર્યો હતો. બક્ષીપંચ મોરચના પ્રમુખ ઉદય કાનગડ, અગ્રણી ભગવાનદાસ પંચાલ, નિવૃત સનદી અધિકારી પટણી તેમજ દેવીપૂજક સમાજના અગ્રણીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.