નવીદિલ્હી,તા.૩૦
ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સમયે અરવિંદ કેજરીવાલ અન્ના હજારે સાથે હતા. તેઓ તેમના રાજકીય ગુરુ પણ કહેવાય છે. હવે અન્ના હજારેએ એક પત્ર લખીને અરવિંદ કેજરીવાલને ખખડાવ્યા છે. કેજરીવાલને લખેલા પત્રમાં તેમણે કહ્યું છે કે તેઓ દિલ્હીમાં દારૂની દુકાનો બંધ કરાવે. તેમણે એમ પણ લખ્યું છે કે અરવિંદ કેજરીવાલે સ્વરાજ પુસ્તકમાં મોટી મોટી વાતો લખી હતી, પરંતુ તેમના આચરણ પર તેની અસર જાેવા મળતી નથી.
અન્ના હજારેએ પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલને સંબોધિત કરતા લખ્યું છે કે તમારા મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર હું તમને પત્ર લખી રહ્યો છું. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી સરકારની દારૂ નીતિને લઈને જે ખબરો આવી રહી છે તેને વાંચીને દુઃખ થાય છે.
અન્ના હજારેએ પત્રમાં લખ્યું છે કે ગાંધીજીના ગાવ કી ઓર ચલો… આ વિચારોથી પ્રેરિત થઈને મે મારું આખું જીવન ગામ, સમાજ અને દેશ માટે સમર્પિત કર્યું. છેલ્લા ૪૭ વર્ષથી ગ્રામ વિકાસ માટે કામ અને ભ્રષ્ટાચાર વિરોધમાં જન આંદોલન કરી રહ્યો છું. મહારાષ્ટ્રમાં ૩૫ જિલ્લામાં ૨૫૨ તહસિલમાં સંગઠન બનાવ્યું. ભષ્ટ્રાચાર વિરોધમાં તથા વ્યવસ્થા પરિવર્તન માટે સતત આંદોલન કર્યા. આ કારણે મહારાષ્ટ્રમાં ૧૦ કાયદા બન્યા. શરૂઆતમાં ગામમં ચલનારી ૩૫ દારૂની ભઠ્ઠીઓ બંધ કરી. તમે લોકપાલ આંદોલનના કારણે અમારી સાથે જાેડાયા. ત્યારથી તમે અને મનિષ સિસોદિયા અનેકવાર રાલેગણસિદ્ધિ ગામ આવી ચૂક્યા છો. ગામવાળાઓએ કરેલું કામ તમે જાેયું છે. છેલ્લા ૩૫ વર્થથી ગામમાં દારૂ, બીડી, સિગારેટ વેચાણ માટે નથી. આ જાેઈને તમે પ્રેરિત થયા હતા. તમે આ વાતની પ્રશંસા પણ કરી હતી.
પત્રમાં લખ્યું છે કે રાજનીતિમાં આવતા પહેલા તમે સ્વરાજ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકની પ્રસ્તાવના તમે મારી પાસે લખાવી હતી. આ સ્વરાજ નામના પુસ્તકમાં તમે ગ્રામસભા, દારૂ નીતિ અંગે મોટી મોટી વાત લખી હતી. પુસ્તકમાં તમે જે લખ્યું છે તે તમને યાદ અપાવવા માટે નીચે આપી રહ્યો છું…
સમસ્યાઃ હાલના સમયમાં દારૂની દુકાનો માટે રાજનેતાઓની ભલામણ પર અધિકારીઓ દ્વારા લાઈસન્સ અપાય છે. તેઓ લાંચ લઈને લાઈસન્સ આપે છે. દારૂની દુકાનોના કારણે ભારે સમસ્યાઓ પેદા થાય છે. લોકોનું કૌટુંબિક જીવન બરબાદ થાય છે. વિડંબણા એ છે કે જે લોકો તેનાથી સીધી રીતે પ્રભાવિત થાય છે, તેમને એ વાત માટે કોઈ પૂછતું નથી કે શું દારૂની દુકાન ખુલવી જાેઈએ કે નહીં? આ દુકાનોને તેમના પર થોપી દેવાય છે.
સૂચન- દારૂની દુકાન ખોલવા માટે કોઈ પણ લાઈસન્સ ત્યારે આપવું જાેઈએ જ્યારે ગ્રામ સભા તેની મંજૂરી આપે અને ગ્રામ સભાની સંબંધિત બેઠકમાં. ત્યાં ઉપસ્થિત ૯૦ ટકા મહિલાઓ તેના પક્ષમાં મતદાન કરે. ગ્રામ સભામાં ઉપસ્થિત મહિલાઓ સાધારણ બહુમતીથી હાલની દારૂની દુકાનોનું લાઈસન્સ રદ્દ કરાવી શકે.
તમારા સ્વરાજ નામના આ પુસ્તકમાં કેટલી આદર્શ વાતો લખી હતી. ત્યારે તમારી પાસેથી ખુબ આશાઓ હતી. પરંતુ રાજકારણમાં જઈને મુખ્યમંત્રી બન્યા બાદ તમે આદર્શ વિચારધારા ભૂલી ગયા એવું લાગે છે. આથી દિલ્હી રાજ્યમાં તમારી સરકારે નવી દારૂ નીતિ બનાવી. એવું લાગે છે કે તેનાથી દારૂના વેચાણ અને દારૂ પીવાને પ્રોત્સાહન મળે છે. ગલી ગલીમાં દારૂની દુકાનો ખોલાવી શકાય છે. તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી શકે છે. આ વાત જનતાના હિતમાં નથી. આમ છતાં તમે એવી દારૂ નીતિ લાવવાનો ર્નિણય કર્યો છે. એવું લાગે છે કે જે પ્રકારે દારૂનો નશો હોય છે, તે પ્રકારે સત્તાનો પણ નશો હોય છે. તમે પણ એવી સત્તાના નશાના ડૂબી ગયા હોવ એવું લાગે છે.
પત્રમાં આગળ લખ્યું છે કે ૧૦ વર્ષ પહેલા ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ દિલ્હીમાં ટીમ અન્નાના તમામ સભ્યોની બેઠક થઈ હતી. તે સમયે તમે રાજનીતિક રસ્તો અપનાવવાની વાત કરી હતી. પરંતુ તમે ભૂલી ગયા કે રાજકીય પાર્ટી બનાવવી એ અમારા આંદોલનનો ઉદ્દેશ નહતો. તે સમયે ટીમ અન્ના વિશે જનતાના મનમાં વિશ્વાસ પેદા થયો હતો. આથી તે સમયે મારી સોચ હતી કે ટીમ અન્નાએ દેશભરમાં ફરીને લોકશિક્ષણ લોકજાગૃતિનું કામ કરવું જરૂરી હતું. જાે આ પ્રકારે લોકશિક્ષણ લોકજાગૃતિનું કામ હોત તો દેશમાં ક્યાંય પણ દારૂની આવી ખોટી નીતિ ન બનત. સરકાર કોઈ પણ પાર્ટીની હોય, સરકારને જનહિતના કામ કરવા પર મજબૂત કરવા માટે સમાન વિચારધારાવાળા લોકોનું એક પ્રેશર ગ્રુપ હોવું જરૂરી હતું. જાે એવું હોત તો આજે દેશની સ્થિતિ અલગ હોત અને ગરીબ લોકોને તેનો લાભ મળત. પરંતુ દુર્ભાગ્યથી એવું બની શક્યું નહી. ત્યારબાદ તમે, મનિષ સિસોદિયા અને તમારા અન્ય સાથીઓએ મળીને પાર્ટી બનાવી અને રાજકારણમાં પગલું ભર્યું. દિલ્હી સરકારની નવી દારૂ નીતિને જાેતા હવે એવું લાગી રહ્યું છે કે એક ઐતિહાસિક આંદોલનનું નુકસાન કરીને જે પાર્ટી બનાવવામાં આવી, તે પણ અન્ય પાર્ટીઓના રસ્તે જ ચાલવા લાગી. આ ખુબ જ દુખની વાત છે.