Savera Gujarat
Other

૨૮ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ

૨૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને તેથી હવે આ પ્રોજેક્ટ સાકાર થયો છે. સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે હેતૂથી આ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે. તેના માટે આધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભૂકંપનો અનુભવ કરવા માટે વિશેષ થિયેટર
૨૦૦૧માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયટેરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુનઃ સંરચના, પુનઃપરિચય, પુનઃપ્રત્યાવર્તન, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃઆવૃતિ અને પુનઃસ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે.
વર્ચ્યુઅલ રિયાલીટી, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શનથી ઉમદા અનુભવ
મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ૫૦ ઓડિયો-વિઝ્‌યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જાેઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભૂત સમન્વય કરવામાં આવ્યો છે.
ડિજીટલ મશાલથી શ્રદ્ધાંજલિ
પુનઃસ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નિકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જાેઇ શકાશે.
સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ
કચ્છનો વિશેષ રંગ ઉમેરાય તે હેતૂથી આ મ્યૂઝિયમની દિવાલો અને ફ્લોરમાં સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરની વિશેષતા એ છે કે સમય જતા લોકોની ચહલપહલથી તે વધુ મજબૂત અને સુંદર બનતો જાય છે.
૪૭૦ એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ
ભુજના ભુજિયો ડુંગર પર ૪૭૦ એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે. પ્રથમ તબક્કામાં ૧૭૦ એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કાના ઘટકોમાં ૫૦ ચેકડેમ, સન પોઇન્ટ, ૮ કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, ૧.૨ કિમી આંતરિક રોડ, ૧ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, ૩ હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, ૩૦૦ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, ૩ લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને ૧૧૫૦૦ ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ ૧૨,૯૩૨ પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દિવાલો પર મુકવામાં આવી છે.
જાપાન અને દ.આફ્રિકામાં પણ ભૂંકપને સમર્પિત મ્યૂઝિયમ
જાપાનમાં કોબે અર્થક્વેક મેમોરિયલ મ્યૂઝિયમ છે જેમાં ભૂકંપમાં બચી ગયેલા લોકોની કહાણીઓ, વ્યવસ્થાપન અને સ્થળાંતરને લગતી પ્રવૃત્તિઓ વિશે જણાવવામાં આવે છે. ભૂકંપ બાદ ઘટેલી પરિસ્થિતિઓનો ચિતાર પણ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં તુલબાગ અર્થક્વેક મ્યૂઝિયમ છે જેમાં સ્થાનિકો તેમના ભૂકંપ અંગેના અનુભવો વીડિયો અને પ્રદર્શન દ્વારા જણાવે છે. આ રીતે જ ભુજમાં પણ હવે ભૂકંપ અંગેનું વિશેષ મ્યૂઝિયમ હવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Related posts

ગુજરાતમાં અષાઢી મેંઘ મહેરથી ૨૦૬ ડેમોમાં ૫૧ ટકા નવા નીર ભરાયાં

saveragujarat

મુખ્યમંત્રીએ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત વીસીસીઆઇ-એક્પોની ૧૨મી આવૃત્તિનું ઉદ્દઘાટન કર્યું

saveragujarat

સુપ્રીમ કોર્ટનો આદેશ : બાળક દત્તક લઈ શકશે ઈચ્છુક દંપતી

saveragujarat

Leave a Comment