મુંબઈ, તા.૮
શિવસેના સાંસદ સંજય રાઉતને સોમવારે પણ કોર્ટમાંથી રાહત નથી મળી. કોર્ટે તેમની કસ્ટડી ૨૨ ઓગષ્ટ સુધી વધારી દીધી છે. પાત્રા ચાલ કૌભાંડ મામલે ઈડીની તપાસનો સામનો કરી રહેલા રાઉતની ૩૧ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને ત્રીજી વખત કસ્ટડીમાં મોકલ્યા છે.
ગુરૂવારે કોર્ટે રાઉતની કસ્ટડી ૮ ઓગષ્ટ સુધી વધારી હતી. આ સાથે જ કોર્ટને એ પણ જાણવા મળ્યું કે, એજન્સીએ તપાસમાં ઘણી પ્રગતિ કરી છે. ઈડી મની લોન્ડ્રિંગ મામલે સંજય રાઉતની તપાસ કરી રહી છે. શનિવારે તેમના પત્ની વર્ષા પણ પૂછપરછ માટે તપાસ એજન્સી સામે હાજર થઈ હતી. ઈડીએ શનિવારે લગભગ ૯ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. ઈડીએ કહ્યું કે, તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજાે દર્શાવે છે કે, રાઉત દ્વારા અલીબાગમાં ખરીદેલી પ્રોપર્ટીમાં પણ મોટા રોકડ વ્યવહારો સામેલ હતા. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે, રાઉતની પત્નીના બેંક ખાતામાંથી ૧.૦૮ કરોડ રૂપિયા મળી આવ્યા છે. સંજય રાઉતની ધરપકડ કરી તે દરમિયાન તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે, શિવસેના સાંસદના આવાસમાંથી ૧૦ લાખ રૂપિયાથી વધુ રોકડ મળી આવી હતી. જાેકે, તેમના ભાઈનું કહેવું છે કે, આ પૈસા પાર્ટીના હતા. રાઉતે પણ અગાઉ દાવો કર્યો હતો કે, પાર્ટીના સાંસદોને ઈડીની ધમકીના કારણે જ શિંદેની બળવાખોરી સફળ થઈ હતી.