સવેરા ગુજરાત, ભાવનગર તા. ૦૨
ભાવનગર જિલ્લાના વધુ ૫ તાલુકા મળી કુલ ૭ તાલુકાઓમાં લમ્પી વાયરસ પ્રસરી ગયો છે, અનેક ગૌવંશના મોત થઈ રહ્યા છે, તંત્ર દ્વારા ૫૦ થી વધુ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં લમ્પી વાયરસના કારણે જિલ્લામાં સેંકડો પશુઓના મોત થઈ ચૂક્યા છે. પરંતુ સરકારી ચોપડે માત્ર ૨૫ પશુઓના મોત નોંધાયા છે. ત્યારે ભાવનગર, જેસર અને મહુવાને બાદ કરતાં તમામ તાલુકાઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા પશુપાલન વિભાગ દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર જિલ્લામાં અનેક પશુપાલકો ખેતીની જમીન કે બીજા કોઈ વ્યવસાય વગર માત્ર પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે. એવા જ એક પશુપાલક છે રંઘોળા ગામના હમીરભાઇ ભરવાડ કે જેની પાસે ખેતી કરવા માટે નથી કોઈ જમીન કે નથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે બીજાે કોઈ રોજગાર. તેઓનો સમગ્ર પરિવાર માત્ર પશુપાલન પર ર્નિભર છે.
હમીરભાઇ અને તેના ચાર ભાઈઓના નાના, મોટા અને વડીલો મળી કુલ ૪૫ લોકોનો સંયુક્ત પરિવાર માત્ર પશુપાલન પર ર્નિભર છે. સરકારી ગોચર જમીનમાં પોતાની ગાયો ચરાવી દૂધ ઉત્પાદન થકી તેઓ પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓના સંયુક્ત કુટુંબમાં બધી મળી કુલ ૨૦૦ થી વધુ નાની મોટી ગાયો છે, અને આ ૨૦૦ ગાયોનું પેટ ભરવા તેઓ દિવસભર પશુધન સાથે ગૌચરની જમીન અને સીમ વિસ્તારમાં ચરાવવા નીકળી પડે છે, પરંતુ હાલ તેઓના પરિવાર પર લમ્પી નામની આફત મંડરાઇ રહી છે, તેમની પાસે રહેલી ૨૦૦ ગાયો પૈકી ૧૦૦ જેટલી ગાયોમાં લમ્પી વાયરસ પ્રસરી જતાં બીમાર પડી છે. તેમજ અનેક ગાયોનો લમ્પી વાયરસે ભોગ લઈ લીધો છે. ઝી મીડિયાની ટીમે રંઘોળા ગામે પહોંચી હમીરભાઇ સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ કહ્યું કે જાે આમને આમ ચાલ્યા કરશે તો તેઓનું કીમતી પશુધન બરબાદ થઈ જશે, તેમજ પરિસ્થિતિ અંગે ભીતિ વર્ણવતા સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.
ભાવનગર જિલ્લાના ૭ તાલુકાઓના અનેક ગામોમાં વ્યાપક રીતે ફેલાયેલા લમ્પી વાયરસના કારણે કીમતી પશુધનને નજર સામે મરતું જાેઈ પશુપાલકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે, માત્ર ઉમરાળા તાલુકાના ધરવાળા, લીમડા અને રંઘોળા ગામમાં કુલ મળી ૧૦૦ થી વધુ પશુઓના મોત થયા હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે, તો બીજી બાજુ જિલ્લાનું પશુપાલન વિભાગ પણ લમ્પી વાયરસ ને આગળ વધતો અટકાવવા સઘન રસીકરણ ઝુંબેશ ચલાવી રહ્યું છે, જેમાં જિલ્લાના ૨.૫૦ લાખ પશુધન સામે હાલ ૨૦ હજાર જેટલા તેમજ જિલ્લાની સર્વોત્તમ ડેરી દ્વારા ૮૫ હજાર ડોઝ પશુપાલન વિભાગ ને આપવામાં આવ્યા છે.હાલ ભાવનગર જિલ્લામાં લમ્પીના કહેરની વાત કરીએ તો ગારિયાધારના ૨૩ ગામ, ઉમરાળાના ૧૩ ગામ, ઘોઘાના ૧ ગામ, તળાજાના ૨ ગામ, વલભીપુરના ૧૦ ગામ, સિંહોરના ૮ ગામ, પાલીતાણાના ૧૦ ગામમાં લમ્પી વાયરનો કહેર જાેવા મળી રહ્યો છે.