કથા શ્રવણમાં હજારો શ્રોતાઓનો મહેરામણ ઉમટયો
સવેરા ગુજરાત પંચમહાલ તા.૨૪
ચાતુર્માસ એટલે શ્રી હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમયગાળો.
હિન્દુ સંસ્કૃતિમાં આ ચાર માસમાં જપ,તપ અને સંયમ તથા ભક્તિના મહિમા માટે વિખ્યાત છે.
ધ્યાન, જપ અને સત્સંગમાં સમય વિતાવવાથી અંદરની શક્તિઓ જાગૃત થાય, ચેતનાઓનો વિકાસ થાય, પ્રજ્ઞાનો ઉઘાડ થાય, રોગ પ્રતિકારક શક્તિ વધે, આત્માની ઉન્નતિ થાય. આથી જ આ સમયગાળામાં ભોજન ઓછું કરવાનો અને ભજન વધુ કરવાનો મહિમા ગવાયો છે.ચાતુર્માસ એટલે આંતરજાગૃતિનું પર્વ…ઉત્સવો… એ પણ સંસ્કાર ….શુદ્ધ ભક્તિ સહિત….ધર્મ નિયમ સહિત ઉજવવાની પરંપરા શ્રી સ્વામિનારાયણ ભગવાને આપ્યા. નિયમ ધર્મ સહિત જીવે જાગૃત થઇને ભગવાનની ભક્તિ કરવી….! નિયમ ધર્મની દ્રઢતા રાખવી.ચાતુર્માસમાં સવિશેષ ભગવાનની ભક્તિ કરવી. આ બધું ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ છે. ધર્મ, ભક્તિ, નિયમ, જપ, તપ, માળા, ભજનના ફળ સ્વરૂપે ભગવાન પોતાની મૂર્તિનું દિવ્ય સુખ આપે છે. જીવનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો એકડો રાખીએ તો જીવન સુખમય, શાંતિમય, આનંદમય પસાર થાય.”શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત.શહેરા – પંચમહાલ જિલ્લાના શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરમાં
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા વિરચિત દેવભાષા – સંસ્કૃતમાં “શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર:” પંચ દિનાત્મક ચાતુર્માસ કથા – સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં અનેકવિધ દિવ્ય ચરિત્રોનું રસપાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની આજ્ઞાથી સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું. પંચમહાલના મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ આજરોજ સાંજે કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ કથામૃતનું રસપાન કર્યું હતું. ત્યારબાદ સૌએ મહાપ્રસાદ આરોગ્યો હતો.