રાજકોટ, તા. 8
સમગ્ર રાજયની સાથે છેલ્લા પાંચ દિવસમાં રાજકોટ શહેરમાં પણ કોરોનાના કેસમાં સામાન્ય છતાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં તો નોંધપાત્ર સંખ્યામાં કેસ આવવા લાગ્યા હોય, રાજય સરકારે તમામ મહાનગરોના આરોગ્ય તંત્રોને એલર્ટ કર્યા છે. રાજકોટ સહિતના શહેરોમાં સરેરાશ કરતા રોજ દોઢા નિદાન કરવાનો આદેશ આવતા આજે કમિશ્નર અમિત અરોરાએ આરોગ્ય અધિકારી સહિતના જવાબદારોને દોડાવ્યા છે.
રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં નવા 14 કેસ નોંધાયા છે અને આજની તારીખે એકટીવ કેસની સંખ્યા 1પ થઇ ગઇ છે. ગઇકાલે રાજયમાં અમદાવાદમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા હતા. તે બાદ રાજય સરકારે અમદાવાદમાં તો ટેસ્ટીંગ બુથ શરૂ કરવાની સૂચના આપી છે અને આજથી આવા બુથ એકટીવ પણ થઇ ગયા છે. છતાં રાજકોટમાં હજુ આવી કોઇ જરૂર ન હોય, જો હજુ કેસ વધે અને જરૂરીયાત ઉભી થાય તો બુથ શરૂ કરવા વિચારવામાં આવશે તેવું કમિશ્નરે જણાવ્યું હતું.
મહાનગરની વાત કરીએ તો છેલ્લા દિવસોમાં નોંધાયેલા કેસની સામે ટેસ્ટીંગનું પ્રમાણ બહુ નથી. બહારગામ કે વિદેશથી આવતા લોકો જ મોટા ભાગે સામેથી ટેસ્ટ કરાવવા આવે છે. મનપા આરોગ્ય કેન્દ્રોમાં શરદી, ઉધરસ, તાવ જેવા રોગના દર્દીઓ આવે તો સ્ટાફ તુરંત કોરોના ટેસ્ટ પણ કરી નાંખે છે. જોકે પોઝીટીવીટી રેશીયો ખુબ ઓછો છે. છતાં પાંચ દિવસમાં રાજકોટ સહિત રાજયમાં વધેલા કેસે ચિંતા જરૂર વધારી છે.
જોકે ગઇકાલે ચાલુ દિવસમાં પણ માત્ર 246 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં પણ 1.22 ટકા એટલે કે ત્રણ રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ સાથે શહેરમાં એકટીવ કેસ 15 થયા છે. તો આજ સુધીના કુલ દર્દીઓનો આંકડો 63724 થયો છે. જેમાંથી 99.19 ટકા એટલે કે 63210 દર્દી રીકવર પણ થયા છે. આજ સુધીમાં કરાયેલા 18.23 લાખ ટેસ્ટમાંથી પોઝીટીવીટી રેટ 3.49 ટકા રહ્યો છે.
આજે કમિશ્નરે ડે.કમિશ્નર અને આરોગ્ય અધિકારી સાથે સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સરકારમાંથી ટેસ્ટીંગ દોઢા કરવા સૂચના આવતા આજથી જ નિદાન વધારવા આરોગ્ય કેન્દ્રો પર સૂચના મોકલી દેવામાં આવી છે. રાજકોટમાં હવેથી રોજ 1400 થી 1500 જેટલા ટેસ્ટ કરાશે તેવું કમિશ્નરે કહ્યું હતું. સાથોસાથ તેઓએ લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને સતર્ક રહેવા પણ આગ્રહ કર્યો છે.