ગાંધીનગર : વિદ્યાસહાયકોની ભરતીના ચાલી રહેલા વિવાદ મુદ્દે યુવરાજસિંહની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની વિરુદ્ધ ગંભીર કલમો લગાવવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહે દાવો કર્યો હતો કે, સરકાર તેની વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે. તે જ્યાં ભાડે રહે છે તે ઘર પણ સરકારે દબાણ કરાવીને ખાલી કરાવી દીધું છે. તેવામાં ગુજરાતની સૌથી મોટી કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા અગાઉ તેની ધરપકડ કરી લેવાતા સરકારની મંશા સામે સવાલો ઉઠી રહ્યા છે. જો કે યુવરાજસિંહની અટકાયત થઇ જતા વ્યંગાત્મક રીતે કહી શકાય કે હવે LRD પરીક્ષામાં કોઇ જ કૌભાંડ બહાર નહી આવે કારણ કે કૌભાંડ બહાર પાડનારા વ્યક્તિને જ સરકારે ઝડપી લીધો છે. સરકારે પાણી પહેલા જ પાળ(જાળ) બાંધી લીધી છે.ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતા ગોટાળામાં સૌથી મોટા પ્રહરી તરીકે ઉભરેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. ગુજરાતમાં લગભગ મોટા ભાગની પરીક્ષાઓ યેનકેન પ્રકારે ગોટાળો થાય જ છે. આ ગોટાળા અત્યાર સુધી ચાલતા પણ હતા તેવો દાવો યુવરાજસિંહ કરે છે. પરંતુ હવે યુવરાજસિંહે આ ગોટાલાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. થતા ગોટાળાના પુરાવા સાથે તે રજુ થાય છે જેના કારણે સરકારને નીચુ જોયા જેવું થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહે ઉઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ્દ કરવાની સરકારને ફરજ પડી છે. જો કે ગત્ત ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં તેણે થયેલી કોપીકેસ જાહેર કરતા જીતુ વઘાણીએ તેની ધરપકડની ચિમકી ઉચ્ચારી હતી. જેના પગલે રાજપુત સમાજ અને કરણી સેના પણ સરકાર વિરુદ્ધ પડ્યા હતા. હાલ આ સમગ્ર મામલો વિવાદિત હતો. તેવામાં વિદ્યા સહાયકોના મુદ્દે પણ યુવરાજસિંહે સરકાર સામે મોરચે માંડ્યો હતો.