સવેરા ગુજરાત/-ભારતીય પર્વ પરંપરામાં હોળી-ધુળેટીનું અનેરૂ મહાત્મ્ય છે. હોળીનો તહેવાર ભકત પ્રહલાદની કથા સાથે સંકળાયેલો છે. તેમ હોરી, રસીયાનું પણ મહત્વ છે. ગોકુળ, મથુરા, વ્રજમાં હોળી ધુળેટીનો અનન્ય મહિમા છે. વૈષ્ણવોની હવેલીમાં ફાગણ મહિનામાં હોરી રસીયા ગાવામાં આવે છે તથા ફૂલોત્સવ ઉજવવામાં આવે છે.આજે હોળી-ધુળેટી પર્વમાં ગુજરાતના હિંમતનગર પાસે આવેલ શામળાજી, વડોદરા નજીક આવેલ ડાકોર, રણછોડરાયજીનું મંદિર તથા દ્વારકામાં દ્વારકાધીશના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે.
આજે સવારે શામળાજી મંદિર ખાતે ભગવાન શામળાજીના દર્શન માટે કપાટ ખુલતા જ દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો. ખુબ જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. આજે સવારે આરતી બાદ શામળાજીને ભોગ ધરવામાં આવ્યો. મંદિર પરિસરમાં ભકતોએ અબીલ-ગુલાલની છોળો ઉડાડીને શામળાજી પ્રત્યેની ભકિત દર્શાવી હતી. આજે અને આવતીકાલે હજારો શ્રધ્ધાળુઓ અહીં આવીને શામળાજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે.ગુજરાતનું સોથી જાણીતું અને પ્રમુખ મંદિરોમાં ભગવાન રણછોડરાયજીનું મંદિર ડાકોરમાં છે અહીં શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે. પ્રાચીન માન્યતા અનુસાર બાજેસિંહ નામના રાજપૂત ડાકોરમાં રહેતો હતો. તે ભગવાન રણછોડનો પરમ ભકત હતો. તેને એક રાત્રે ભગવાને દર્શન આપ્યા અને કહ્યું કે તું દ્વારકા જાય છે પણ હવે તારે જવાની જરૂર નથી અને દ્વારકા મંદિરની ભગવાનની મૂર્તિ લઇને ડાકોરજી લાવવા જણાવ્યું અને ભકત મૂર્તિ ડાકોર લઇ આવ્યો અને તે આજનું શ્રી રણછોડરાયજીનું મંદિર છે.
આજે ડાકોરમાં હોળી તહેવારના કારણે હજારો ભાવિકો ઉમટી પડયા છે. અબીલ-ગુલાલની છોળો ઉડી રહી છે. શ્રધ્ધાળુઓ ડાકોરજીના દર્શનથી ધન્યતા અનુભવી રહ્યા છે. હોળી-ધુળેટીના દિવસોમાં ડાકોરજીના શ્રૃંગાર તથા વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો યોજવામાં આવેલ છે.