સવેરા ગુજરાત:- ડેન્માર્કનુ ડેલીગેશન ગુજરાતની મુલાકાતે આવ્યું હતુ. આ એક દિવસીય મુલાકાતમાં ડેન્માર્કના આરોગ્યમંત્રી માઉનસ હાઉનીકે અને તેમની ટીમે આરોગ્ય વિભાગની મુલાકાત લઇ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે આરોગ્ય વિષયક ચર્ચાઓ હાથ ધરી હતી.મુલાકાતમાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આરોગ્ય વિષયક દ્વિપક્ષીય ચર્ચા હાથ ધરવામાં આવી હતી.મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં PMJAY-મા યોજના અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરી તેની અસરકારક અમલવારી સાથે સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ આ યોજના અંતર્ગત આપવામાં આવતી સારવાર અંગે જ્યારે ડેન્માર્કના આરોગ્યમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા ત્યારે તેઓ આ યોજનાથી અત્યંત પ્રભાવિત થયા હતા.ડેન્માર્કના આરોગ્યમંત્રી એ મંત્રી ઋષિકેશભાઇને રાજ્યમાં આરોગ્ય સંલગ્ન માળખાકીય સુવિધાઓ, વિવિધ જાહેર આરોગ્યની સેવાઓ અને યોજનાઓ પૂછતા મંત્રી એ રાજ્ય આરોગ્યની સ્થિતિનો વિગતવાર ચિતાર રજૂ કર્યો હતો.
મંત્રી એ ડેન્માર્કના ડેલીગેશનને રાજ્યમાં આરોગ્યસંલગ્ન ગ્રામ્ય સબ સેન્ટર થી લઇ ડિસ્ટ્રીકટ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલના આરોગ્ય માળખા વિશે માહિતી આપી હતી. તેઓએ કોરોનાકાળ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને વ્યવસ્થાપનથી પણ માહિતગાર કર્યા હતા.ડેન્માર્કના ડેલીગેશન દ્વારા રાજ્યના કુલ બજેટમાં કેટલા ટકા હિસ્સો આરોગ્ય વિભાગ માટે ફાળવવામાં આવે છે તે અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મંત્રી એ જણાવ્યું કે, રાજ્યના સર્વાંગીણ વિકાસ માટે આ વર્ષે ૨ લાખ ૪૩ હજાર ૯૬૫ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગ માટે ૧૨,૨૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવ્યું હોવાનું કહ્યું હતુ.ડેન્માર્કના આરોગ્યમંત્રી દ્વારા તેમના દેશના કુલ બજેટના અંદાજીત ૧૦ ટકા હિસ્સો આરોગ્ય વિભાગને ફાળવવામાં આવતો હોવાનું જણાવ્યું હતુ.(અત્રે નોંધનીય છે કે, ગુજરાતની વસ્તી ડેન્માર્કની વસ્તિ કરતા અંદાજીત ૧૨ ગણી વધારે છે.)મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યના વયસ્ક દર્દીઓની જીરીયાટ્રીક કેર,સારવાર પર ધ્યાનકેન્દ્રીત કરીને આ વર્ષના બજેટમાં વયોવૃધ્ધો માટે ઘરે બેઠા બ્લડ ટેસ્ટીંગ જેવી સુવિધાઓની જોગવાઇ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.
મંત્રી દ્વારા નિરામય ગુજરાત, આર્યુર્વેદિક સારવાર પધ્ધતિ, આરોગ્ય ચકાસણી સ્ક્રીનીંગ કેમ્પ સહિતની રાજ્યની વિવિધ આરોગ્ય સેવાઓ વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.ડેલીગેશન દ્વારા રાજ્યમાં સ્વાસ્થય સેવાઓના ડિઝીટલાઇઝેશન વિષે પૂછતાં આરોગ્યવિભાગના અગ્ર મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ દ્વારા આ વર્ષના બજેટમાં ટેલીમેન્ટલ હેલ્થ, ટેલીમેડિસીન, ટેલીકાઉન્સેલીંગ જેવી સેવાઓનો ઉમેરો કરીને રાજ્યના દૂર-સૂદૂર અને જરૂરિયાતમંદ દર્દીઓને ઘરે બેઠા આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો અભિગમ હાથ ધરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુ.
ડેલીગેશન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં આરોગ્ય કમીશનર શાહમીના હુસેન,આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર સહિત ના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.