યાત્રાધામ અંબાજી અને ગબ્બર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ માતાજીના કર્યા દર્શન
સવેરા ગુજરાત/અંબાજી:- શક્તિ, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અને માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાતા ગબ્બર ખાતે રવિવારે બપોરે ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપતિ વ્યવસ્થાપન તથા રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી.
આ પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર આનંદ પટેલ દ્વારા ગૃહ રાજ્ય મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતું. મંત્રીએ અંબાજી ગબ્બર ઉપર ચાલતા વિકાસકામોનું નિરીક્ષણ પણ કર્યુ હતુ.
લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પાન્છાથી અંબાજી સુધીની પદયાત્રાને મંત્રીએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ અંગદાન વિશે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, માણસના મૃત્યુ પછી એક વ્યક્તિના અંગદાનથી ૮ લોકોને જીવનદાન આપી શકાય છે. તેમણે કહ્યું કે, નાના બાળકથી લઇને વૃધ્ધ વ્યક્તિ કે જેઓના મગજ મૃત (બ્રેઇન ડેડ) સૌ કોઇ તેનાં અંગોનું દાન કરીને મૃત્યુ પછી પણ સેવા કરી શકે છે. મા અંબાની પવિત્ર ધરતી પરથી શરૂ થયેલી આ કામગીરીને આગળ વધારવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઇ દેશમુખ, પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, અગ્રણી કે. સી. પટેલ, કનુભાઇ વ્યાસ, કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.