સવેરા ગુજરાત/અંકલેશ્વર:- અંકલેશ્વરમાં માંગો તે છાપી આપે, બોગસ માર્કશીટ હોય કે પછી ચલણી નોટ, SOG એ ખુલ્લુ પાડ્યું સમગ્ર કૌભાંડ. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ધો 10 થી લઈ કોલેજ, ITI સહિતની માર્કશીટ ₹25000 માં બનાવી અપાતી હતી. ભરૂચ એસ. ઓ.જી.પોલીસે 2 કોમ્પ્યુટર, 2 પ્રિન્ટર, સ્કેનર સહિત 239 નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરેલી બનાવતી માર્કશીટ અને 43 ઓરીજનલ માર્કશીટ સાથે બે ભેજાબાજોની ધરપકડ કરી છે. અંકલેશ્વરના ઓમકાર 2 કોમ્પ્લેક્ષ અને અંદાડામાંથી ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે બોગસ માર્કશીટ અને ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાના કૌભાંડ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.
ભરૂચ SOG ને અંકલેશ્વરમાં બોગસ માર્કશીટ અને ચલણી નોટોનું રેકેટ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે ઓમકાર 2 કોમ્પ્લેક્ષમાં દરોડો પાડવામાં આવ્યા હતા. હાંસોટની રામનગર સોસાયટીમાં રહેતો સચીન પ્રેમાભાઈ ખારવા આરતી કન્સલ્ટન્સીના ઓથા હેઠળ જોબ પ્લેસમેન્ટના નામે બોગસ માર્કશીટનું રેકેટ ચલાવતો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.
સચિનની વધુ પૂછપરછ કરતા તેને આ માર્કશીટ અંદાદાની હરિઓમ રેસિડેન્સીમાં રહેતો રાહુલ નરેન્દ્ર પરમાર આપતો હોવાનું કબુલ્યું હતું. SOG એ રાહુલના ઘરે દરોડો પાડતા ત્યાંથી ધોરણ 10, 12, કોલેજ, વીર નર્મદ યુનિવર્સીટી, આઈ.ટી.આઈ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બોનોફાઇડ સહિતના પ્રમાણપત્રો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. બન્ને આરોપીના ત્યાંથી એસઓજીએ કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, મોબાઈલ 404 હોલમાર્ક સ્ટીકર 239 ડુપ્લિકેટ બનાવેલી માર્કશીટ તેમજ 43 અસલ માર્કશીટ મળી આવી હતી. જે તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આરોપી રાહુલ પાસેથી 50 અને 100 ના દરની 48 છાપેલી નકલી નોટો પણ મળી હતી. બોગસ ચલણી નોટ અને માર્કશીટ રેકેટમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવાતા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં પાસ થયાના પ્રમાણપત્ર માટે વિદ્યાર્થી દીઠ ₹25000 વસુલવામાં આવતા હતા. રાહુલ સચિનને નાપાસ વિદ્યાર્થી શોધી લાવવા બદલ મહેનતાણા પેટેલ 5 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. બોર્ડ, યુનિવર્સીટીની વેબસાઈટ પરથી લોગો અને માર્કશીટના નમુના સ્કેન કરી સમગ્ર રેકેટ ચાલતું હતું.
સચિન અને રાહુલ કોમ્પ્યુટર પર નાપાસ થયેલા વિધાર્થીઓની અસલ માર્કશીટ લઈ પાસ થયેલી ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતો હતો. બન્નેના ત્યાંથી અત્યાર સુધીમાં કુલ 282 જેટલી માર્કશીટ મળી આવી હતી. પ્રમાણપત્ર, LC, બોનોફાઇડ સર્ટિફિકેટ મળી આવ્યા છે. હાલ તો પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં ₹40 થી 50 લાખનું કૌભાંડ હોવાનું લાગી રહ્યું છે. જો કે વધારે તપાસમાં કૌભાંડ મોટુ પણ સાબિત થઇ શકે છે.