સવેરા ગુજરાત/સબરકાંઠા:- સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કલેકટર કચેરી સભાખંડમાં દિવ્યાંગ વ્યક્તિ ઓ માટેના કમિશ્નર વી. જે. રાજપૂતના અધ્યક્ષસ્થાને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સંયુક્ત દિવ્યાંગ મોબાઈલ કોર્ટની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને જિલ્લાના દિવ્યાંગજનોની વિવિધ રજૂઆતો/ફરિયાદોના નિરાકરણ અર્થે આ દિવ્યાંગ મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોબાઈલ કોર્ટમાં દિવ્યાંગજનો દ્વારા વિવિધ ૪૫ જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ દિવ્યાંગ કોર્ટ સુનાવણીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુકત શિક્ષણ મેળવવામાં પડતી મુશ્કેલીઓ, શારીરિક દિવ્યાંગતા ધરાવતા કર્મચારીની સમસ્યા, દિવ્યાંગ બાળકોને થતા અન્યાય, દિવ્યાંગોને અંત્યોદય કાર્ડ અને રેમ્પ બનાવવા જેવી સમસ્યોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં ઉપસ્થિત દિવ્યાંગ વ્યક્તિઓના કમિશ્નર શ્રી. વી.જે. રાજપૂતએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દિવ્યાંગ વ્યક્તિઓની રોજગારી માટે ખુબ ચિંતિત છે. દિવ્યાંગ વ્યક્તિઓને નડતી તમામ સમસ્યોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. વધુમાં તેમણે અમલીકરણ અધિકારીઓને દિવ્યાંગ વ્યક્તિઓની સમસ્યાઓને શાંતિપૂર્વક સાંભળીને તેમના પ્રશ્નોનું હકારાત્મક નિકારકરણ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે દિવ્યાંગ વ્યક્તિઓની કચેરી ગાંધીનગરના ડેપ્યુટી કમિશ્નર એસ.એસ. ઠેમ્બા, સાબરકાંઠા કલેક્ટરશ્રી હિતેષ કોયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક ગ્રામ વિકાસ એજન્સી આર.એમ.ડામોર, અરવલ્લી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર એન.ડી.પરમાર, અરવલ્લી જિલ્લા ડેપ્યુટી કલેક્ટર એસ.કે.ડાભી હાજર રહ્યા હતા.