સવેરા ગુજરાત/સાબરકાંઠા:- ઉધોગકારોને પડતી તમામ મુશ્કેલીઓના તાત્કાલીક નિરાકરણ કરાશે
સહકાર રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા.
સાબરકાંઠા જિલ્લા ઉધોગ કેન્દ્ર, સાબરકાંઠા તેમજ સાબરકાંઠા ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે “ઉધોગકારો સાથે સીધો સંવાદ” કાર્યક્ર્મ સહકાર રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને હિંમતનગર ખાતે યોજાયો. જેમાં ઉધોગકારોને પડતી મુશ્કેલીઓ અને પશ્નોના નીરાકરણ માટે મંત્રી દ્રારા ઉધોગકારોને માર્ગદર્શન અને સારી અને સુદ્રઢ સુવિધા આપી શકાય તે માટે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતી કરી છે. આ વિકાસની ગતીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આગળ ધપાવી છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને આગળ વધારવા માટે ઉધોગકારો આગળ આવે તેઓ રોજગારીનું નિર્માણ કરે છે. આ રોજગાર નિર્માતાઓના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ઉકેલવામાં આવશે. ઉધોગકારો પીન થી લઈને પ્લેન સુધી ગુજરાતમાં બનાવી રહ્યા છે. બાવળા પાસે આઇક્રિએટ સ્ટાર્ટ-અપ થકી ગુજરાતના યુવાનોને તેમના ક્રિએટીવ અને નવા આઇડીયાને પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે ઉધોગકારો સોમવાર અને મંગળવારે ગાંધીનગર ઓફીસે મુલાકાત લઈ પોતાના પ્રશ્નો રજુ કરી શકે છે. પ્રસુતિની પિડા મા જણે તેમ ઉધોગકારોની પીડા ઉધોગકાર જાણે, હું આ ક્ષેત્રમાંથી જ આવ્યો છું. તેથી જ નવુ મંત્રી મંડળ બનતા સાથે જ ઉધોગકારો સાથે ઓપન સેશન રાખ્યું હતું જેમાં ૪૦૦ પ્રશ્નો આવ્યા હતા જેનુ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્ર્મમાં મંત્રીએ ઉધોગકારોના પ્રશ્વો સાંભળ્યા હતા અને તેનું હકારાત્મક નિરાકરણ કરવા જણાવ્યું હતું. સાબરકાંઠા- અરવલ્લીના નવા કોલ્ડ સ્ટોરેજના વીજ જોડાણના પ્રશ્નો તાત્કાલિક પગલા લઈ જોડાણ આપવા યુ.જી.વી.સી.એલ અધિકારીઓને જણાવ્યું અને ઇડરના ઇસરવાડા જી.આઇ.ડી.સીના પાકા રસ્તાના પ્રશ્ન અંગે સંબધીત અધિકારીઓને તે ઉકેલવા જણાવ્યું હતું.
આ કાર્યક્ર્મમાં ડાયરેક્ટર, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની ગાંધીનગર જે. ડી. પટેલ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આ જિલ્લામાં સીરામિક ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ ખુબ થયો છે અને હાલ એગ્રો બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થઈ રહ્યો છે. જિલ્લામાંથી બ્રોડગેજ રેલ્વે લાઇન પસાર થઈ રહી છે અને ટૂંક સમયમાં જ મુંબઈ દિલ્હી રેલ સેવા શરૂ થશે. આથી માલના એક્સપોર્ટ માટે આપણા જિલ્લામાં આઇ.સી.ડી. સેન્ટર મળે તેવી માંગ મંત્રી સમક્ષ કરી હતી.
આ ઉપરાંત મંત્રીએ સાબરડેરી ખાતે સહકારી અગ્રણીઓ સાથે બેઠક કરી સહકારીતાનો લાભ સામાન્ય માણસ સુધી કઈ રીતે પહોચાડી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ કાર્યક્ર્મમાં જિલ્લા કલેકટર હિતેષ કોયા, ચેરમેન સાબરકાંઠા ડીસ્ટ્રી.કો.ઓ. બેંક લી. હિંમતનગર મહેશભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ લઘુ ઉધોગ ભારતી ગુજરાત શ્યામ સુંદર સલુજા, ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના પ્રમુખ કાન્તિભાઇ શાહ, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષા કુ. કૌશલ્યા કુંવરબા, સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન જેઠાભાઇ પટેલ અને મોટી સંખ્યામાં ઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા.