નવીદિલ્હી, તા.3
આઈપીએલની આગલી સીઝન માટે મેગા ઑક્શન (મોટી હરાજી) પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે પાછા મેળવેલા ખેલાડીઓમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ કરાયો નહોતો. હાર્દિક પંડ્યા 2015માં આઈપીએલ કરિયરની શરૂઆતથી જ મુંબઈ ટીમનો મહત્ત્વનો હિસ્સો હતો
પરંતુ હવે આ ઑલરાઉન્ડર આગલી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કદાચ જ રમી શકશે. હાર્દિક પંડ્યાએ પણ આ વાત તરફ ઈશારો કરી દીધો છે કે કદાચ હવે તે ટીમમાં બીજી વખત પરત ન ફણે. મુંબઈને પોતાના દમ પર અનેક મુકાબલા જીતાડનારો હાર્દિક તેને રિટેન નહીં કરવાને કારણે ઘણો દુ:ખી થયો છે. હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક વીડિયો દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલી પોતાની યાદગાર ક્ષણોને શેયર કરી છે.
હાર્દિકે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે હું આ યાદોને જીવનપર મારી સાથે જોડીને રાખીશ. હું આ ક્ષણોને ક્યારેય ભૂલીશ નહીં. મેં જે મીત્રો બનાવ્યા છે, જે બંધન બનાવ્યા છે, લોકો, ચાહકો, હું તે તમામનો આભારી રહીશ. હું માત્ર ખેલાડી તરીકે જ નહીં બલ્કે એક માણસ તરીકે પણ મોટો થયો છું. હું યુવા ક્રિકેટર તરીકે મોટા સ્વપ્ન લઈને અહીં આવ્યો હતો. અમે સાથે ઘણું જીત્યા પણ છીએ અને હાર્યા પણ છીએ. આ ટીમ સાથે વીતાવેલી દરેક ક્ષણ મારા દિલમાં ખાસ જગ્યા રાખે છે.
તમામ સારી વસ્તુઓનો અંત હોય જ છે પરંતુ મારા દિલમાં મુંબઈ ઈડિયન્સ માટે અલગ જ જગ્યા રહેશે. 28 વર્ષીય હાર્દિકે આઈપીએલમાં માત્ર મુંબઈ ફ્રેન્ચાઈઝી માટે જ ક્રિકેટ રમ્યું છે. તેણે આઈપીએલમાં આ ટીમ વતી 27.33 રનની સરેરાશથી 1476 રન બનાવ્યા છે અને 42 વિકેટ મેળવી છે. જો કે આઈપીએલની પાછલી સીઝનમાં તેનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું અને તે 14.11 રનની સરેરાશથી 127 રન જ બનાવી શક્યો હતો તો એક પણ ઓવર ફેંકી શક્યો નહોતો.
આઈપીએલ-2022 માટે મુંબઈએ કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઉપરાંત સૂર્યકુમાર યાદવ અને કિરોન પોલાર્ડને જાળવી રાખ્યા છે. ચાર ખેલાડીઓને રિટષન કર્યા બાદ મુંબઈ આગામી મેગા ઑક્શનમાં 48 કરોડ રૂપિયાની રકમ સાથે ઉતરશે.