આજે દેશભરમાં દિવાળી પહેલા ઉલ્લાસમય માહોલ વચ્ચે અયોધ્યામાં અલૌકિક દીપોત્સવ ઉજવાાઈ ગયો. ગઇકાલે અયોધ્યામાં અધધધ 12 લાખ દીપના પ્રાગટ્યનો વિશ્વ રેકોર્ડ ખુદ અયોધ્યાએ જ તોડ્યો હતો. તો આ પર્વે પુષ્પક વિમાન એટલે કે હેલિકોપ્ટરમાંથી રામ-સીતા અયોધ્યા ઉતર્યા હતા. અયોધ્યાની સાથે સાથે દેશભરમાં પણ દીપોત્સવી પર્વે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ વર્ષે દિવાળી પર્વમાં કોરોના હળવો છે ત્યારે બજારો પણ ગ્રાહકોથી ઉભરાયેલી જોવા મળે છે.
અયોધ્યામાં ગઇકાલે બે પ્રતિક રુપે ભગવાન શ્રીરામ, મા જાનકી, હનુમાન અને લક્ષ્મણ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પુષ્પક વિમાન અર્થાત સ્ટેટ હેલિકોપ્ટરમાં અયોધ્યા પહોંચ્યા હતા. તેમને લેવા માટે ગુરુ વશિષ્ઠ, ભરત સહિતના પહોંચ્યા હતા. તેમને રથ પર બેસાડીને રામ કથા પાર્કમાં લાવવામાં આવ્યા હતા જ્યા રામ દરબાર સજાવાયો હતો. આ તકે મુખ્યમંત્રી યોગી, ઉપપ્રમુખમંત્રી કેશપ્રસાદ મૌર્ય સહિત અન્યોએ આરતી ઉતારી હતી.
આ તકે મહેમાન તરીકે ઉપસ્થિત ત્રિનિદાદ એડ ટોબૈગ, વિયેટનામ અને કેન્યાના રાજદૂત પણ આરતી ઉતારવામાં સામેલ હતા. અહીં રામની રાજતિલક વિધિ થઇ હતી. જ્યારેબીજી બાજુ પૂરી અયોધ્યાનગરીમાં તમામ જગ્યાએ લાગેલા વિશાળકાય સ્ક્રીન પર આ ઘટનાનું જીવંત પ્રસારણ થયું હતું. યોગી સરકારે અયોધ્યામાં પાંચમો દીપોત્સવ ઉજવ્યો છે. 51 હજાર દીપ પ્રાગટ્યથી શરુઆત થઇ હતી જે આજે 12 લાખે પહોંચી હતી. આ દીવડા પ્રગટાવવા માટે 36 હજાર લિટર તેલનો ઉપયોગ થયો હતો. આ દીપ પ્રાગટ્ય માટે 12 લાખ વોલિયન્ટર્સ કામે લાગ્યા હતા. રામ કી પૈંડીમાં દીપોત્સવ બાદ લેસર શોના માધ્યમથી રામકથા દર્શાવાઈ હતી. હોલિગ્રાફિક લાઈટથી દર્શાવાયેલા ચિત્રોએ પૂરી કથાને જીવંત સ્વરુપ આપ્યું હતું. વોઇસ ઓવરની સાથે લાઈટીંગથી નાગેશ્વર નાથ સહિત અન્ય મંદિરોની કતારો પર ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા. કેટલીક એલઇડી સ્ક્રીન પણ લગાવાઈ હતી.
જન્મભૂમિ પરિસરમાં પહેલીવાર ભવ્ય મહોત્સવ : રામ જન્મભૂમિના 70 એકરના પરિસરમાં દીપોત્સવ પૂરી ભવ્યતાથી ઉજવાયો હતો. અત્યાર સુધી સાધારણ રીતે દીપોત્સવ ઉજવાતો હતો. આ વર્ષે સુંદર ડિઝાઈન બનાવી રામલલા મંદિરને સજાવવામાં આવ્યું હતું. સાંજે સરયુ ઘાટ રોશનીથી ઝળહળ્યો, આતશબાજી થઇ : આ વખતે દીપોત્સવ પર્વે સરયુ ઘાટમાં સાંજે રોશનીએ અલૌકિક વાતાવરણ ઉભું કર્યું હતું. સરયુ ઘાટે લેશર શો અને આતશબાજીએ અનોખું આકર્ષણ ઉભું કર્યું હતું.બીજી બાજુ આ અવસરે મંદિર નિર્માણ સ્થળ પર મંદિર અને ચારે બાજુ, 51 હજાર દીપ પ્રાગટ્યથી સજાવાયા હતા. રામમંદિરના ગર્ભગૃહને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. આગામી કારસેવામાં ગોળી નહીં ચાલે, પુષ્પવર્ષા થશે :દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે 1990માં રામસેવકો પર ગોલી ચલાવાઇ હતી. બર્બર લાઠીચાર્જ થઇ રહ્યા હતા ત્યારે જયશ્રી રામ બોલવું અપરાધ માનવામાં આવતું હતું.
ત્યારે રામ મંદિરની વાત કરવી પણ અપરાધ મનાતો હતો. ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આપ જોજો આગામી કારસેવા થશે ત્યારે ગોળી નહીં ચાલે,ત્યારે રામ ભક્તો પર, કૃષ્ણ ભક્તો પર પુષ્પોની વર્ષા થશે. પહેલા રાજ્યનો પૈસો કબ્રસ્તાનની બાઉન્ડ્રી પર ખર્ચ થતો હતો,આજે મંદિરોના પુન:નિર્માણ અને સુંદરીકરણ (બ્યુટિફિકેશન) પર ખર્ચ થઇ રહ્યો છે. આ તકે યોગીએ મહત્વની જાહેરાત કરી હતી કે કોરોના કાળમાં શરુ થયેલ ફ્રી રાશન યોજના હોળી સુધી લંબાવાઈ છે.