મોગાદિશુ, તા.૨૦
સોમાલિયા ખાતે આતંકવાદી જૂથ અલ-શબાબના બંદૂકધારીઓએ એક હોટલ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ૧૦ લોકોના મોત થયા છે જ્યારે લગભગ ૯ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોગાદિશુની છે જ્યાં બંદૂકધારીઓએ હયાત હોટલ પર ગોળીબાર કર્યો હતો અને ૨ કારમાં વિસ્ફોટ કર્યો હતો. તે જ સમયે, અલ-કાયદા સાથે જાેડાયેલા અલ-શબાબ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી છે.
આ ઘટના અંગે વાત કરતા સુરક્ષા અધિકારીએ કહ્યું હતું કે, હોટલ હયાતમાં અત્યારે પણ આતંકવાદીઓ ઘૂસેલા છે અને સુરક્ષા દળો સાથે અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, હોટેલ હયાત પર હુમલાની માહિતી મળતાં જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાર બાદ જેહાદી જૂથના લડવૈયાઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ બંદૂકધારીઓ હયાત હોટલમાં પ્રવેશ્યા બાદ તેની એક મિનિટ પહેલા જ જાેરદાર વિસ્ફોટ થયો હતો. તે જ સમયે, પોલીસ મેજર હસન દાહિરે જણાવ્યું હતું કે, સુરક્ષા દળો અને જેહાદી જૂથ લડવૈયાઓ વચ્ચેની અથડામણમાં મોગાદિશુના ગુપ્તચર વડા મુહિદ્દીન મોહમ્મદ સહિત બે સુરક્ષા અધિકારીઓ ઘાયલ થયા હતા. આ ઘટના સમયે હાજર લોકોના જણાવ્યા અનુસાર, પ્રથમ વિસ્ફોટની થોડીવાર બાદ બીજાે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટોને કારણે સુરક્ષા દળોના કેટલાક સભ્યો અને નાગરિકો ઘાયલ થયા હતા. એક વ્યક્તિએ જણાવ્યું કે, ઘટના બાદથી આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાના અલ-કાયદા સાથે જાેડાયેલા અલ-શબાબ જૂથે જવાબદારી સ્વીકારી છે. આતંકવાદી જૂથે તેની સમર્થક વેબસાઈટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અલ-શબાબ હુમલાખોરોનું એક જૂથ મોગાદિશુમાં હોટેલ હયાતમાં પ્રવેશ્યું છે અને હાલમાં ફાયરિંગ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, સોમાલિયા સરકાર વિરૂદ્ધ આતંકવાદી સંગઠનનો આ પહેલો હુમલો નથી. આ પહેલા પણ આ આતંકી સંગઠન અનેક ભયાનક વિસ્ફોટો કરી ચુક્યાં છે.