સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૯
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં આવવાના છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવાની વાત છે તો અમદાવાદ અને સુરતમાં પણ દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજાવાનો છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમમાં ફેરફાર થયો છે. ૨ દિવસના બદલે એક દિવસ ૨૯ મેના જ દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ આચાર્ય પ્રમોદ મહારાજનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે તૈયારીઓ કરાઈ રહીં છે જેમાં ઢોલ, નગારા સાથે ઋષિ કુમારો સ્વાગત કરશે. કોંગ્રેસના આક્ષેપો પર આચાર્યશ્રી પ્રમોદ મહારાજ જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તો અને સનાતનીઓના સવાલોના જવાબ આપશે અને કોઈ રજીસ્ટ્રેશન નથી, કોઈ પણ આવી પોતાની અરજી લગાવી શકશે. તેમણે કહ્યું કે, અમે રાજનેતાઓના આક્ષેપોનો જવાબ નહીં આપીએ તેમજ રાજકીય લોકો તેમની રાજનીતિ કરે અમે અમારુ કામ કરીશુ. ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસને લઈ આયોજક કમિટીના સભ્ય અમીત શર્માનું નિવેદન સામે આવ્યું છે, તેમણે જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત અને રહેવાની તૈયારીઓ થઈ રહીં છે અને ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવા માટે બંગલાનું રિનોવેશન કરાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, બંગલામાં રહેલી તમામ વસ્તુઓનો ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રથમવાર જ ઉપયોગ કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના રસોયાઓ દ્વારા લિસ્ટ અપાયુ છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને લસણ અને ડુંગળી વિનાનું ગુજરાતી ભોજન પણ પીરસાશે. ૨૬ અને ૨૭ મેના રોજ સુરત ખાતે પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. શહેરના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. નિલગીરી મેદાનમાં સાંજે ૫થી રાતના ૧૦ વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે. આ પહેલા સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. અંધશ્રદ્ધા નિવારણ શાખાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ કરવાની માંગણી કરી છે. આ માટે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાર્યક્રમથી અંધશ્રદ્ધા ફેલાતી હોવાથી મંજૂરી ન આપવા માંગ કરી છે. બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી ૧ જૂન અને ૨ જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. આમ ગુજરાતના ત્રણ મોટા શહેરો ખાતે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાઈ રહ્યો છે. તો બાબાનો વિરોધ કરીને પડકાર પણ ફેંકવામાં આવી રહ્યો છે.
previous post