સવેરા ગુજરાત/અમદાવાદ:- વસ્ત્રાલમાં શનિવારે લગ્નજીવનના ૫૦ વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં વૃદ્ધ દંપતિએ એકબીજા સાથે પૂનઃલગ્ન કરીને અનોખી રીતે ઉજવણી કરી હતી. યુવાન વયે લગ્ન જીવનની શરૂઆત કરી અને વૃદ્ધાવસ્થામાં પણ એજ રીતે ધામધુમથી ફરીથી લગ્નગ્રંથીએ જોડાઇને આ દંપતિએ જનમોજનમ એકબીજાને જ પતિ-પત્નિ તરીકે મળતા રહીએ તેવી પ્રભુને પ્રાથના કરી હતી. વૃદ્ધ દંપતિના લગ્ન જોવા માટે લોકોના ટોળાટોળા ઉમટયા હતા. લગ્નજીવનને એક નવી વ્યાખ્યા આપનાર આ પૂનઃલગ્નોત્સવે લોકોમાં ભારે ઉત્સુકતા વધારી હતી અને બીજી બાજુ પ્રેરણા પણ આપી હતી.
વસ્ત્રાલમાં પ્રયોશા પેરેડાઇઝમાં રહેતા રસીકભાઇ મંજીભાઇ ચૌહાણ (ઉં.વ.૭૨) અને તેમના ધર્મપત્નિ રંજનાબેન ( ઉ.વ.૬૮) બંનેના લગ્નજીવનને શનિવારે ૫૦ વર્ષ પુરા થતા તેઓએ લગ્નજીવનની શરૂઆતના એ દિવસોને ફરીથી જીવનમાં સાત્સાત્કાર કર્યા હતા. ફરીથી એજ ઉંમગ, ઉત્સાહ, પ્રેમ, સાથે જીવવા-મરવા અને એકબીજાના થઇને રહેવા, એકબીજા માટે બધુ કરી છુટવાની મનની ઇચ્છા વચ્ચે તેઓએ એકબીજા સાથે સાત ફેરી ફરીને જીવનની ઢળતી ઉંમરે ફરીથી એકબીજાના થઇ ગયા હતા.
રસીકભાઇના પુત્ર વિજયભાઇના જણાવ્યા મુજબ તેમના માતા-પિતાના લગ્નજીવનને ૫૦ વર્ષ પૂર્ણ થતા હોય અને તે બંને વચ્ચે એટલો જ પ્રેમ હોય અને તેઓએ જીવનની ગમેતેવી પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપીને જીવનના પડકારોનો સામનો કર્યો હતો. બે દિકરી અને એક દીકરાને ભણાવી, ગણાવી મોટા કર્યા. તેમનું જીવન અમારા માટે આદર્શ છે.
તેઓનું લગ્નજીવન દરેક માટે પ્રેરણારૂપ છે. દંપતિએ કઇ રીતે એકબીજાને સાથ આપીને જીવન પસાર કરવું તે તેમની પાસેથી શીખવા જેવું છે. તેથી લોકોને પણ પ્રેરણા મળી રહે તે માટે ફરીથી લગ્ન કરાવાયા છે. લગ્નકંકોત્રી, બેન્ડબાજા, વરઘોડો, સ્વજનો-મિત્ર મંડળને જમણવારનું આયોજન, રિંગ સેરેમની, હસ્તમેળાપ, ફુલહાર,લગ્નચોળીમાં સાત ફેરા ફરવા, ડાન્સ પરફોર્મન્સ, કેક કટિંગ સહિતની વિધીઓ કરવામાં આવી હતી.
વૃદ્ધ વરરાજાને ઘોડે ચઢી પરણવા જતા જોઇ લોકોમાં કુતુહલ જાગ્યું !
૭૨ વર્ષના રસીકભાઇ શનિવારે ફરીથી ઘોડે ચઢીને પરણવા આવ્યા હતા, ઢોલનગારાના તાલે, લગ્નગીતોની વચ્ચે, સ્વજનોની હાજરીમાં, નાચગાન સાથે નીકળેલા વરઘોડાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. યુવાન નહીં પરંતુ વૃદ્ધ પરણવા નીકળ્યા તે જાણીને લોકોને એક સમયે કુતુહલ પણ થયું હતું.અને આ શું થઇ રહ્યું છે તે જોવા રાહદારીઓ પણ રોકાઇને પ્રસંગને જોવા લાગ્યા હતા.
માથે સાફો, શરીરે લગ્નની મજાની શેરવાની, ગળામાં ગુલાબના ફુલનો હાર, હાથમાં તલવાર અને મો પર સ્મીત, અપાર આનંદ, હરખ સાથે રસીકભાઇ કોઇ યુવાનીયાને પણ શરમાવી દે તેવા તૈયાર થયા હતા. આ ઉંમરે પણ તેમનો જોશ, સુડોળ શરીર ઉડીને આંખે વળગતા હતા.
72 વર્ષે પણ વસ્ત્રાલથી રખિયાલ પગપાળા ચાલીને જ નોકરી કરવા જાય છે
રસીકભાઇ મૂળ અમરેલીના ચલાળા ગામના વતની છે તેઓ અમદાવાદમાં સ્થાયી થયા છે. તેઓ ૭૨ વર્ષની ઉંમરે પણ વસ્ત્રાલથી રખિયાલ સુધી પગપાળા જ એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરીએ જાય છે. આ ઉંમરે નોકરી કરીને તેઓ તેમને પ્રવૃતિમય રાખે છે અને પગપાળા નોકરી જઇને સ્વાસ્થ્યને જાળવી રાખે છે.
તેમનો એક પુત્ર છે વિજય જે હાલમાં દસક્રોઇના જેસવાની મુવાડી રણોદરા ખાતેની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે.રસીક ભાઇની બે દીકરીના લગ્ન થઇ ગયા છે અને તે તેમના જીવનમાં સુખી છે.રસીકભાઇ સ્વાધ્યાયી છે અને સ્વાધ્યાય પરિવારના તમામ જીવનમંત્રો તેઓએ જીવનમાં ઉતાર્યા છે.