સવેરા ગુજરાત, બનાસકાંઠા, તા.૩
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની બીજા તબક્કાના મતદાન પ્રચારનો શનિવારે અંતિમ દિવસ હતો. સાંજથી રાજ્યભરમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા. તેના બાદ ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. ત્યારે ગુજરાતની ચૂંટણીમાં ભાજપી નેતાઓએ સૌથી વધુ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યાં છે. ડીસાના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જાહેરસભાને સંબોધી હતી. જેમાં તેમણે ગાંધી પરિવારને નિશાને લઈ રાહુલ અને પ્રિયંકા ગાંધીને બાબો અને બેબી તરીકે સંબોધન કર્યું હતું. કોંગ્રેસને દેશદ્રોહી અને અધર્મિ પાર્ટી ગણાવી તેનો નામશેષ કરી ભાજપને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. સ્મૃતિ ઈરાનીના ભાષણ દરમિયાન બાજુમાં મસ્જિદમાંથી નમાજની અજાન ચાલુ થઈ જતા તેઓએ ભાષણ એક મિનિટ માટે રોકી દીધું હતું. જાેકે પબ્લિકે જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવતા તેઓએ ફરીથી પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા ભાજપને મત આપવા લોકોને અપીલ કરી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીઓના જ દિવસો બાકી છે, ત્યારે ભાજપ કોંગ્રેસના અનેક મોટા નેતાઓ છેલ્લી ઘડીએ લોકોને પોતાની તરફ આકર્ષવા જંગી જાહેર સભાઓ કરી રહ્યા છે, ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ડીસા પહોંચ્યા હતા. જ્યાં ડીસાના રિસાલા ચોકમાં તેઓએ જાહેરસભાને સંબોધી હતી અને ડીસાના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીને વોટ આપવા લોકોને અપીલ કરી હતી. જ્યાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે પોલિંગ બુથ પર કોઈ મોદી વિરુદ્ધ ન બોલ્યું. ૫ મી તારીખે કોંગ્રેસના સૂપડા સાફ થશે. બે પ્રાણી છે એમને ગુજરાતી નથી આવડતી. એ સાંભળી શકે માટે મારે હિન્દી બોલવું છે. સોનિયા ગાંધીને ખબર હતી કે ગુજરાતમાં પાણીનું કામ થવા ન દેવું. આખરે મોદીને ઉપવાસ કરવા પડ્યા. સોનિયાને કહેવા માંગુ છું કે, અમે તો દુશ્મનોને પણ આપીએ છીએ. બેનને પાર્લામેન્ટરીમાં આવીને ડોગા ફોડવા પડે છે. સ્મૃતિ ઈરાનીએ વધુમા કહ્યુ હતું કે, ૨૦૨૪ માં પણ ગુજરાતનો સેવક ફરી કેન્દ્રમાં આવશે. મેડમ, બેબી, કે દામાદ પણ ન આવ્યા પ્રચારમાં. બાબો આવ્યો પણ ટ્રાન્સલેટ કરવા માણસ રાખ્યો. મધ્યપ્રદેશમાં કમલનાથને કમલ કહીને બોલાવે એ તો એના બાપની ઉંમરના છે. બાબાને પણ સંસ્કાર નથી. તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સીધા નિશાના ઉપર લઈ જણાવ્યું હતું કે જેમને બોલતા આવડતું નથી તેવા કોંગ્રેસના સર્વે સરવાઓને ગુજરાતના જ કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં આવવાની ના પાડી દીધી છે અને પ્રચારથી દૂર રાખ્યા છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બાબો અને બેબી કહીને સંબોધન કરતા પબ્લિકે તાળીઓનો ગડગડાટ કર્યો હતો. સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસને દેશદ્રોહીઓની સાથે રહેનારી પાર્ટી ગણાવી હતી. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે નર્મદા ડેમનું કામ રોકી ગુજરાતની પ્રજાને ખૂબ જ મોટો અન્યાય કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલને પણ આડે હાથ લઈ આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદીના માતા વિશૅ કરેલી અપમાનજનક ટિપ્પણીઓની લોકોને યાદ અપાવી હતી. તેઓએ મંચ પરથી આપને પણ જાકારો આપવા જણાવ્યું હતું. બે પ્રાણીઓ છે જેમને ગુજરાતી આવડતું નથી તેમ કહી સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલને પ્રાણીઓ સાથે સરખાવ્યા હતા.