જામનગર દેવભૂમિ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જામનગર સહીત અન્ય જીલ્લાઓ માંથી શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે. યાત્રીઓની સેવા અર્થે જે જગ્યાઓ પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જામનગર કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં દવાઓની સુવિધા તેમજ યાત્રીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી કરીને તેઓનું આરોગ્ય સ્વસ્થ રહે. જામનગર જીલ્લા વહીવટી તંત્રની આ ઉમદા કામગીરી બદલ લોકો સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
જામનગર તાલુકાના વસઈ પાટિયા પાસે જય ગોપાલ ગ્રુપ દ્વારા દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પના સંચાલક મેરુભાઈ ભરવાડ જણાવે છે કે, વસઈ આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા અમારા કેમ્પમાં જરૂરીયાતમંદ યાત્રીઓ માટે વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ પીવાના પાણીની શુદ્ધતા અને કલોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે તે બદલ તંત્રનો આભાર વ્યક્ત કરું છું.