મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની મોદી 3.O સરકારના આ વર્ષના બજેટને વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના જગાવનારું બજેટ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની જનતા જનાર્દન ખાસ કરીને મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોની આશા આકાંક્ષા પુરી પાડનારા આ બજેટને ‘સિટિઝન ફસ્ટ’ બજેટ તરીકે સમગ્ર ગુજરાત વતી આવકાર્યું હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી એ કહ્યું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ આધારિત વિકાસને વેગ આપતું આ બજેટ છે.
તેમાં એગ્રીકલ્ચર, MSME, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સ ચાર એન્જિનને ગતિ માટેના મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા છે.
નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીથારમણએ કેન્દ્ર સરકારનું સતત આઠમું બજેટ વડાપ્રધાન ના દીશાદર્શનમાં પ્રસ્તુત કર્યું તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રી એ આ બજેટમાં મધ્યમ વર્ગ માટે અભૂતપૂર્વ કર લાભની કરવામાં આવેલી જાહેરાતથી મધ્યમવર્ગની બચતમાં વધારો થશે, વ્યવસાયિક વૃદ્ધિને ઉત્તેજન મળશે અને રોકાણ વધારવામાં મદદ મળશે, વધુ રોજગારીનું સર્જન થશે અને સમગ્ર રાષ્ટ્રને ફાયદો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે, ઇન્કમટેક્સના નવા સ્લેબને કારણે દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગોને મોટી રાહત મળશે, આ માટે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
બજેટમાં અન્નદાતા (ખેડૂતો)ના કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમાં કૃષિ ઉત્પાદકતામાં સુધારો અને કૃષિ આવક વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કપાસ ઉત્પાદકતા માટેનું મિશન ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે ફાયદાકારક થશે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના હેઠળ ક્રેડિટ મર્યાદામાં વધારો થતાં ખેડૂતો, માછીમારો અને પશુપાલકોને ફાયદો થશે એમ પણ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.
દેશમાં ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા ૧૦૦ જેટલા જિલ્લાઓ માટે “પી.એમ. ધન ધાન્ય યોજના” શરૂ કરવાના વડાપ્રધાનશ્રીના અભિગમને તેમણે આવકાર્યો હતો. આ યોજનાને પરિણામે ૧.૭૦ કરોડ ધરતીપુત્રોને ફાયદો થવા સાથે ગ્રામીણ વિકાસને વેગ મળશે અને માઇગ્રેશન અટકશે તેવો વિશ્વાસ ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.
મેરીટાઈમ ઇન્ડસ્ટ્રી માટે લાંબા ગાળાના ધિરાણ માટે રૂ. ૨૫ હજાર કરોડના પ્રાવધાન સાથે મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપનાની જાહેરાત ગુજરાત જેવા વિશાળ સમુદ્ર કિનારો ધરાવતા રાજ્ય માટે ઉપયુક્ત છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના MSMEsને ક્રેડિટ ગેરંટી યોજનામાં નોંધપાત્ર વધારાને કારણે લાભ થશે તેની સરાહના કરતાં કહ્યું કે, યુવાનોને, ખાસ કરીને સ્ટાર્ટઅપ્સના સશક્તિકરણને મજબૂત કરવાની પ્રસંશનીય પહેલ કરવામાં આવી છે. તેનાથી આપણા યુવાનો જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર અને રોજગારીનું સર્જન કરતાં બનશે.
મહિલાઓ, SC અને ST ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને પહેલી વાર વ્યવસાય કરી રહેલા લોકો માટે ખાસ જોગવાઈઓ એ સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવા તરફ એક આવકારદાયક પગલું છે એમ તેમણે ઉમેર્યુ હતું.
સમૃદ્ધ શહેરી કેન્દ્રો વિકસાવવા માટે, રૂ. ૧ લાખ કરોડના અર્બન ચેલેન્જ ફંડના નિર્માણ બદલ વડાપ્રધાનશ્રીને અભિનંદન આપીને આભાર માનતા ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, આ પહેલ ગુજરાતના શહેરોની માળખાગત સુવિધાઓ સુધારવામાં મદદ કરશે.
ગિફ્ટ સિટીમાં IFSCમાં કાર્યરત નાણાંકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ ૩૧મી માર્ચ, ૨૦૩૦ સુધી લંબાવવામાં આવી છે અને ગિફ્ટ સિટીમાં ઇન્સ્યોરન્સ સેક્ટરમાં મોટા બેનિફિટ આપવામાં આવ્યા છે તે માટે તેમણે વડાપ્રધાન નો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારત@૨૦૪૭માં પણ અગ્રેસર રહેવા સજ્જ છે અને આ બજેટની જોગવાઈઓ તેમાં નવું બળ પૂરું પાડશે\ એવો વિશ્વાસ મુખ્યમંત્રી એ દર્શાવ્યો હતો.