સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૧૮
શહેરના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડો રૂપિયાના સોનાના દાગીના ભરેલ બેગની લૂંટ કેસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં બે આરોપીની ધરપકડ કરી ૧.૯૭ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જાેકે મુખ્ય આરોપી સહિત ૪ આરોપી હજી ફરાર છે. ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં રહેલ નિખિલ રાઠોડ અને કૌશિક ઉર્ફે પાંગા ઘમડે સહિત ફરાર ચાર આરોપીઓ ભેગા મળી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો, લૂંટ કરવા આરોપી ટોળકીએ માસ્ટર પ્લાન બનાવ્યો હતો.સમગ્ર ઘટનાની વાત કરીએ તો સીજી રોડ પર આવેલ એસ.એસ.તીર્થ ગોલ્ડ પેઢીના બે કર્મચારીઓ સોનાના દાગીના લઈ એક્ટિવા પર નરોડા તથા નિકોલ વિસ્તારમાં આવેલ જવેલર્સની દુકાનોમાં માર્કેટિંગ માટે ગયા હતા. જે પતાવી બન્ને કર્મચારીઓ પરત ઓફિસે આવતા હતા તે દરમિયાન શાહપુર મેટ્રો સ્ટેશન પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક સ્પોર્ટ બાઈક પર બે અજાણ્યા વ્યક્તિઓ બાઈક એકટીવા પાસે લાવી કર્મચારીને લાત માળી પાડી દીધા હતા. તે દરમિયાન એકટીવામાં આગળ મૂકેલ મોટી લૂંટારું ટોળકીએ ૨.૮૧ કરોડના સોનાનાં દાગીના ભરેલી બેંગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જે બાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. જેમાં સીસીટીવી આધારે તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક તપાસમાં છારાનગરની ટોળકી હોવાનું સામે આવ્યું હતું.જે બાત અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ વી બી આલ તથા તેમની ટીમના પીએસઆઈ પી.બી.ચૌધરી અને એમ એન જાડેજાના સ્કોડને બાતમી મળી હતી જે બાદ કુબેરનગરમાંથી બન્ને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. હાલ પકડાયેલા આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ૪.૯૦૦ કિલો સોનાના અલગ અલગ દાગીના કે જેની કિંમત ૧.૯૭ કરોડ હતી. તે મુદ્દામાલ કબ્જે કર્યો છે. મુખ્ય ફરાર આરોપી મનીષ ઉર્ફે સિંધી દ્વારા લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ કરવા બાઈક પર નીકળેલા આરોપીમાં નિખિલ રાઠોડ અને ફરાર આરોપી મનીષ ઉર્ફે મનોજ સિંધી હતા. જેમાં નિખિલ બાઈક ચલાવતો હતો અને સોનાના દાગીના ભરેલી બેગ મનોજ સિંધી દ્વારા ઝૂંટવી લૂંટ ચલાવવામાં આવી હતી.
ત્યારે પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી કૌશિક ઉર્ફે પાંગા ઘમડે લૂંટ કરવા ટુ વ્હીલર બાઈક અને ડુપ્લીકેટ નંબર પ્લેટની વ્યવસ્થા કરી હતી. આમ લૂંટના પ્લાનમાં ૬ લોકોની સંડોવણી સામે આવી છે. જેમાં લૂંટ કરવા ૩થી વધુ શખ્સોની ટુકડી બનાવી હતી અને છેલ્લા એક મહિનાથી રેકી કરતા હોવાનું સામે આવ્યું છે. આમ હજી પણ કરોડો રૂપિયાનો લૂંટનો મુદ્દામાલ ફરાર આરોપી પાસે છે. જેથી આરોપી પકડવા ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમ શોધખોળ કરી રહી છે.આરોપીઓએ ચોરી અથવા લૂંટને અંજામ આપવા ૩ થી વધુ માણસોની ટૂકડી બનાવતા હતા, જે બાદ જવેલર્સના શો રૂમ તથા આંગડીયા પેઢીની આજુબાજુમાં રેકી કરતા હતા, જે કોઈપણ વ્યક્તિ બેગ અથવા થેલીઓ લઈને નીકળનારા માણસોનો પીછો કરતા હોય છે. દાગીના અથવા રૂપિયા લઈને નીકળેલ વેપારી કે માણસો ટૂ વ્હીલર ગાડીમાં જતા હોય ત્યારે રસ્તામાં રોકી તેમની પાસેની બેગ ઝુંટવી નાસી જતા હતા. જયારે કોઈ તેમનો સામનો કરવાનો પ્રયાસ કરે તો આરોપીઓ તેને છરી બતાવી ધમકી આપતા હોવાનું ખુલ્યું છે.