નેતાઓએ ચૂંટણીમાં દારૂ વહેંચવો બંધ કરવો જોઈએ
સવેરા ગુજરાત.અમદાવાદ તા.૨૭
ગુજરાત લઠ્ઠાકાંડમાં મોતનો સિલસિલો યથાવત છે અત્યાર સુધીમાં મોતનો આંકડો 41 સુધી પહોંચ્યો છે અને 117 લોકો સારવાર હેઠળ છે. ત્યારે આ લઠ્ઠાકાંડ મામલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર બરવાળા ગામની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. અલ્પેશ ઠાકોરે બરવાળા પહોંચી પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ઈમાનદાર અધિકારીઓ પણ છે અને ભ્રષ્ટ અધિકારીઓ પણ છે. તેમણે આગળ કહ્યું કે, આપણું ગુજરાત સમૃદ્ધ ગુજરાત છે તેથી વિનંતી કરુ છું કે, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવો જોઈએ.અલ્પેશ ઠાકોરે નેતાઓ પર નિશાન સાધ્યું છે કે, નેતાઓ ચૂંટણી સમયે દારૂ વહેંચે તે યોગ્ય નથી તેથી હવે ચૂંટણી સમયે દારૂની વહેંચણી બંધ કરી દેવી જોઈએ. અને નેતાઓએ પણ ઈમાનદાર બનવું જોઈએ. જો કોઈ બાહોશ આ બધુ બંધ કરાવવાની શરૂઆત કરે તો તેના પર રાજકીય દબાણ વધી જાય છે.અગાઉની ધારાસભ્ય અને પરપંચની અરજી વિષય પર પણ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ધારાસભ્ય પાસે સત્તા છે તેમણે પોતે જ રેડ પાડવાની હતી અને થોડી હિંમત બતાવવાની હતી. માત્ર અરજી કરીને ન છૂટી જવું. જો 182 ધારાસભ્યો ઈચ્છે તો ગુજરાતમાં દારૂબંધી શક્ય છે. વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, રાજકીય નેતાઓએ માત્ર પોતાના રાજકીય મનસૂબા પૂરા કરવા માટે અરજીઓ ન કરવી, જનતા રેડ પાડીને પોતાના રાજકીય હિતો પાર નહીં પડે. અલ્પેશ ઠાકોરે નેતાઓને આવી નમાલી રાજનીતિ ન કરવા જણાવ્યુ હતું.