સવેરા ગુજરાત, અમદાવાદ,તા. ૩
કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીને પરસ્ત્રી સાથે પકડીને તેમના પત્ની રેશ્મા પટેલે હંગામો સર્જયા બાદ ઉભા થયેલા રાજકીય વિવાદ વચ્ચે હવે કોંગ્રેસી નેતાએ ટૂંકાગાળા માટે રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે અને પોતાને નીચા દેખાડવા માટેની ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે. ભરતસિંહ સોલંકીએ આજે પત્રકાર પરિષદમાં સ્વીકાર્યું હતું કે પત્ની સાથેનો વિવાદ જગજાહેર છે અને કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ચૂંટણી ટાણે ચોક્કસ વર્ગ તેનો ગેરફાયદો લેવા મથતો હોય તેમ પોતાને નીચા દેખાડીને ક્ષત્રિય તથા ઠાકોર સમાજમાં રાજકીય રીતે પગપેસારો કરવાનું ષડયંત્ર છે. આ હકીકત વચ્ચે પોતે ટૂંકા ગાળા માટે રાજકીય બ્રેક લઇ રહ્યા છે અને સક્રિય રાજકારણમાં થોડો વખત સામેલ નહીં થાય.
બે મહિના કે છ મહિના જેવા સમયગાળા માટે પોતાનો આ સક્રિય રાજકારણમાંથી વનવાસ રહેશે. જાે કે આ દરમિયાન પોતે સામાજિક કાર્યોમાં સામેલ રહેશે એટલું જ નહીં સામાન્ય કામકાજ વધુ જાેરપૂર્વક કરશે અને આ દરમિયાન સમાજના વિવિધ મુદ્દા પરના અભિપ્રાયો પણ મેળવશે. ક્ષત્રિય-ઠાકોર-ઓબીસી અને પછાત વર્ગની વચ્ચે રહીને તેઓ સાથે પ્રવાસ કરશે. મધ્ય અને ઉતર ગુજરાતમાં આ સમાજાેનો તાકાતવાળો ફોર્સ ઉભો કરશે. તેઓએ જણાવ્યું કે વિવિધ સમાજાેના આશીર્વાદથી જ ૩૦ વર્ષની રાજકીય કારકિર્દી છે અને તેમાં પોતાને નીચા પાડવા માટે અને ક્ષત્રિય તથા ઠાકોર સમાજમાં ઘૂસણખોરી કરવા માટેનું રાજકીય ષડયંત્ર હોવાની શંકા છે. આ જ કારણોસર વિવિધ મુદ્દાઓ ઉભા કરીને વિવાદ સર્જવામાં આવી રહ્યા છે. મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના ખેલ કરવામાં આવી રહ્યા છે.
બાકી કૌટુંબીક બાબતને લાગેવળગે છે ત્યાં સુધી કાનૂની કેસ ચાલુ જ છે અને તેનો ચૂકાદો શિરોમાન્ય રહેવાનું સ્પષ્ટ છે. પત્ની સાથેના વિવાદ મુદ્દે તેઓએ એવો આક્ષેપ કર્યો હતો કે પોતાની પત્નીને મિલકતમાં જ રસ છે. કોરોના વખતે પોતાની તબિયત અત્યંત નાજુક બની ગઇ હતી ત્યારે પણ તેમને મિલકતની જ ચિંતા હતી. અને માટે જ મારી પબ્લીક ઇમેજ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
previous post