સવેરા ગુજરાત, મહેસાણા તા. ૦૩
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ મુકતો આદેશ મહેસાણા સેશન્સ કોર્ટે કર્યો છે. હવે કોર્ટની પરવાનગી વગર તે ગુજરાત છોડી શકશે નહીં.
વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કુલ ૧૦ આરોપીઓને વર્ષ ૨૦૧૭ના જુલાઈ માસમાં વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણા નામદાર મેજીસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠરાવી ૩ માસની સજાનો હુકમ કર્યો હતો. આ હુકમ પડકારતી મહેસાણા સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ અરજી ફાઇલ કરવામાં આવી હતી. જેમાં આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન વડગામના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમજ હાલ એનસીપીના મહિલા નેતા રેશ્મા પટેલ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર સુબોધ પરમાર સહિતના દોષિતોને વગર પરવાનગીએ ગુજરાત નહીં છોડવાની તેમજ પાસપોર્ટ જમા કરાવવાની અને જામીન સ્વરૂપે મળેલ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અન્ય ગુનામાં સામેલ ન થવાની અને કોઈ મિલકત હોય તો એના પુરાવા રજૂ કરવા – આ મુજબની શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉનાકાંડાના એક વર્ષ નિમિત્તે આઝાદી કૂચનું આયોજન મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ધાનેરાના લવારા ગામે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી દલીત સમાજના વ્યક્તિની જમીનમાં ૫૦ વર્ષ સુધી અસામાજિક તત્વોએ ગેરકાયદે દબાણો કર્યા હતા. કૂચના અંતે જે ગરીબ માણસની જમીનના ગુંડાઓ ઘૂસી ગયેલા તેમને દૂર કરી મૂળ માલિકને કબ્જાે અપાવવામાં આવેલ. પરંતુ, આ રેલીની મંજૂરી નહોતી એવા કારણોસર જીગ્નેશ મેવાણી અને અન્યો સામે એફઆઈઆર કરવામાં આવી હતી, જેમાં તાજેતરમાં મહેસાણા કોર્ટે સજા ફટકારી હતી. કદાચ સ્વતંત્ર ભારતમાં રેલીની મંજૂરી નહોતી એવા કારણોસર સજા ફટકારવામાં આવી હોય એવા પહેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હશે.