સવેરા ગુજરાત-પ્રાંતિજ – રાજ્યમાં ૧૯ માર્ચ થી ૩૩ જિલ્લાઓમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૨નો પ્રારંભ મુખ્યમંત્રી, મંત્રીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં તળાવો ઉંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પૂજા અને ખાતમુહૂર્ત કરીને આ રાજ્યવ્યાપી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ખાતે સાંસદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા જિલ્લા કલેક્ટર હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી દિપેન શાહ અને અગ્રણીઓએ ઉત્સાહભેર આ અભિયાનને વધાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે જિલ્લામાં આ જળ અભિયાન ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા માટે આશીર્વાદરૂપ બનશે અને આપણે સૌએ એક એક પાણીના ટીંપાનો સંગ્રહ કરીને આ જળ અભિયાનને સફળ બનાવવાનું છે. સરકાર એક કદમ આગળ વધે તો આપણે પણ તેમની સાથે કદમથી કદમ મિલાવી પ્રગતિની કેડી કંડારવાની છે. પહેલા ભૂતકાળમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતી હતી તે હવે દુર થઈ છે તેના મૂળમાં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જળ અભિયાનનું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. જેના સારા પરિણામો આપણને મળી રહ્યા છે અને ખેડૂત આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે. કિસાનો જ દેશને સમૃદ્ધિ તરફ દોરી જાય છે અને ગુજરાતએ દેશનું રોલ મોડેલ બન્યું છે.
આ પ્રસંગે સુજલામ સુફલામ જળ અભિયાન અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરાઈ હતી પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત અને પ્રાર્થના રજૂ કરાઇ હતી.આ પ્રસંગે સિંચાઈ, નગરપાલિકા, વનવિભાગ, પાણી પુરવઠો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વોટરશેડ, સિંચાઇ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મહિલા બાળ વિકાસ ચેરમેન રેખાબા ઝાલા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબા, બોભા ગામના સરપંચ, ગ્રામ જનો સરપંચઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેરશ્રી કોટવાલ દ્રારા આભાર વિધિ કરાઇ હતી.