અમદાવાદ :આધુનિક યુગમાં સાયબર ક્રાઇમ એ એક એવો ગંભીર મુદ્દો બનીને રહી ગયો છે જેમાં પોલીસના હાથ પણ ટૂંકા પડી રહ્યા છે. કારણ કે સાયબર ક્રાઇમ કરનાર આરોપીઓ પોલીસના એક સ્ટેપ હંમેશા આગળ જ રહે છે. આવા આરોપીઓને પકડવા હવે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ વધુ સતર્ક બન્યુ છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા એક વર્ષમાં 402 મોબાઈલ ફોન કે ચોરાયેલા હોય કે પછી ખોવાયેલા હોય તેવા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને આવા કેટલાક ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે આજે પરત આપ્યા છે.
હિન્દીમાં એક કહેવત છે કે લાલચ બુરી બલા હૈ અને આ જ કહેવત સાયબર ક્રાઇમની ઉક્તિ સાર્થક કરે છે. કારણકે સાયબર ક્રાઇમ બે જ કારણોના લીધે બને છે, જેમાં સૌથી મુખ્ય કારણ લાલચ છે અને બીજુ કારણ લોકોની બેદરકારી પણ હોય છે. આ બંને કારણોના લીધે જ સાયબરના ગુનાઓ બનતા હોય છે. મહત્વનું છે કે, સાયબર આશ્વસ્ત અને સાયબર વિશ્વાસ આ બંને પ્રોજેક્ટ હેઠળ સાયબર ગુનાઓ બને અને તરત જ પોલીસ કન્ટ્રોલ રૂમને કોલ કરવામાં આવતા જ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થવાથી અટકી જાય છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર સેફ ગર્લ નામની પુસ્તિકાનું મુખ્યમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં સાયબર ક્રાઇમ વિશેના અલગ અલગ ગુનાઓ અને તેની વિગતો વાર્તા સ્વરૂપે જણાવવામાં આવી છે.