કોંગ્રેસના એક ધારાસભ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગણી કરી છે કે 500 અને 2000ની ચલણી નોટસનો ઉપયોગ ભ્રષ્ટાચારના કેસો અને શરાબના બારમાં થતો હોવાથી આ નોટો પરથી મહાત્મા ગાંધીના ચિત્રને દૂર કરવું જોઇએ.રાજસ્થાનમાં ભ્રષ્ટાચારનો કેસો તરફ ધ્યાન દોરતા રાજ્યમાં સત્તાધારી પક્ષના ધારાસભ્ય ભરત સિંહ કુંદરનપુરે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2019થી ડિસેમ્બર 2020 દરમિયાન ભ્રષ્ટાચારના કુલ 616 કેસ નોંધાયા છે. આમ દરરોજ સરેરાશ બે કેસ નોંધાયા છે.
બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતીએ મોદીને લખેલા પત્રમાં સંગોડના ધારાસભ્યે જણાવ્યું હતું કે માત્ર ~5, 10, 50, 100 અને 200ની નોટો પર ગાંધીની તસવીર રાખવી જોઇએ, કારણ કે આવી નોટોનો ઉપયોગ ગરીબો કરે છે અને ગાંધીજીએ આખુ જીવન વંચિત લોકો માટે કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે મારુ સૂચન છે કે 500 અને 200ની કરન્સી નોટ્સમાં ગાંધીજીના ચશ્માનું ચિત્ર રાખી શકાય છે. અશોક ચક્ર પણ આ હેતુ માટે અસરકારક બની શકે છે. કોંગ્રેસના ધારાસભ્યે જણાવ્યું હતું કે છેલ્લાં સાડા સાત દાયકામાં દેશમાં વ્યાપક ભ્રષ્ટાચાર ફેલાયો છે. મહાત્મા ગાંધી સત્યના પ્રતિક છે અને તેમના ચિત્ર 500 અને 2,000ની નોટ્સમાં છાપવામાં આવે છે. આવી નોટ્સનો ઉપયોગ ભ્રષ્ટાચાર અને લાંચ માટે થાય છે, જેથી ગાંધીજીની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે.