વર્તમાન માં ગાંધીનગર માં મહાનગર પાલિકાની ચૂંટણી સંદર્ભે ગાંધીનગર ના અંતરિયાળ ગામો માં જવાનું થયું. ત્યારે ત્યાં નો વિકાસ ના નામે થયેલો ત્યાંના લોકો ને થયેલ અન્યાય દેખાણો. વરસાદ ની ઋતુ માં ઠેર ઠેર પાણી ભરાયાં છે, રોડ રસ્તા તો નામ માત્ર ના પણ નથી, તો બીજી બાજુ સરકારી શાળાની પરિસ્થિતિ પણ કઈક આવીજ દયનીય છે. બીજી બાજુ જ્યારે ગાંધીનગર શહેર ના રસ્તા જોઈએ તો એ પ્રમાણ માં સારા છે.
આ ભેદભાવ પૂર્ણ નિર્ણય માટે સરકાર ને કઈક પૂછવાનું મન થાય છે. વર્તમાન માં સરકાર જે પક્ષ ની છે એ પક્ષ ના સંસ્થાપક સભ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાય દ્વારા અંત્યોદય નો વિચાર આપવામાં આવેલો. જે અંતર્ગત સમાજ ના સૌથી છેવાડાના વ્યક્તિ નો પણ વિકાસ થવો જોઈએ. ગાંધીનગર ના અંદર ના ગામો માં વિકાસ ના કામો જેમ અટકેલાં પડ્યા છે એ જોતાં શાસક પક્ષના પ્રતિનિધિ ને પૂછવાનું મન થાય કે શું તેઓ પોતાના નેતા દ્વારા આપવામાં આવેલાં સિદ્ધાંત અનુરૂપ નિર્ણયો કરે છે ?
વર્ષ 1970 માં શહેરનું માળખાગત કામ પૂર્ણ થયા પછી અને 1980 સુધી, તે ગાંધીવાદી શહેર તરીકે ઓળખાતું હતું, કારણ કે તે ગાંધીજી ના વિચારો અને સિદ્ધાંતો પર આધારિત હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધજીના ગ્રામ સ્વરાજ ના સિદ્ધાંત અનુસાર ગામો સ્વતંત્ર અને સ્વચ્છ હોવા જોઈએ. અને દેશ માં ગામો નો વિકાસ પણ શહેર ની સમક્ષ થવો જોઈએ. પરંતુ અત્યારે ગાંધીજી ના નામે બનેલ ગાંધીનગર ના અંતરિયાળ ગામો ને વિકાસ ના નામે છેતરવામાં આવ્યા હોય એવું લાગે છે.
શરીર માં જો લકવો થયો હોય તો શરીર નો વિકાસ સંપૂર્ણ નથી થતો, એવીજ રીતે જિલ્લા ના અમુક અંતરિયાળ ક્ષેત્રો ને જોઈએ તો શાસક પક્ષ ના ભેદભાવ ને કારણે લકવગ્રસ્ત હોય એવું લાગે છે.
ગુજરાત રાજ્ય ની સ્થાપના થઈ ત્યાર બાદ કુલ ૧૫ વખત લોકસભા ની ચુંટણી થઈ છે. એમાં કુલ ૪ વખત કોંગ્રેસ અને ૧૦ વખત ભારતીય જનતા પક્ષ ના પ્રતિનિધિ જીત્યા છે. (ફક્ત એક વાર ભારતીય લોકદળ નો પ્રતિનિધિ જીત્યા હતા) જિલ્લા ના લોકોએ આ બે પક્ષ ને આટલો બધો સહકાર આપ્યો હોવા છતાં પણ રોડ રસ્તા અને સારી સરકારી નિશાળ જેવી સામાન્ય જરૂરિયાત ની વસ્તુ ની હાલત પણ દયનીય છે.
શું બીજેપી ની સરકાર ને ફક્ત લોકો ની નજર માં આવતા ક્ષેત્રોનો વિકાસ કરવામાટે જવાબદારી મળી છે, ગામ માં અંદર રેહતા લોકો ના હકોનું શું ?