આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગુજરાત કેબિનેટનો શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે ઘણા નેતાઓને ફોન આવતા તેમના કાર્યકરોમાં ખુશીનું વાતાવરણ છવાયેલું છે. જ્યારે ઘણા નેતાઓ એવા પણ છે કે જેમને ફોન આવ્યો નથી, તેઓને પડતા મૂકવામાં આવ્યા છે જેના કારણે તેમના કાર્યકરો અને તેમના વિસ્તારના લોકોને દુખ લાગ્યું છે. રૂપાણી સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને નવા મંત્રીમંડળમાં સ્થાન ન અપાતા કોળી સમાજે વિરોધ કર્યો છે. આ સાથે વીંછીયા બંધ રાખવાનું એલાન કરાયું છે.
આજે કુંવરજી બાવળિયાને કોળી સમાજ દ્વારા વીંછીયા બંધનું એલાન કરીને ટેકો આપવામાં આવી રહ્યો છે. કોળીસમાજમાં ભારે જોવા મળી રહ્યો છે. વીંછીયા બંધ રાખવાનું એલાન કરતા જણાવવામાં આવ્યું હતું કે જો કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં સમાવવામાં નહીં આવે તો વીંછીયા ગામના તમામ નાના -મોટા વેપારીઓ તેમજ તમામ સામાજિક ઉદ્યોગો કુંવરજીના સમર્થનમાં ધંધા રોજગાર બંધ રાખશે.
તેની સામે રાજકોટના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા લેવાયેલો નિર્ણય શિરોમાન્ય છે. અમે અમારા વિસ્તારમાં ફરી કામે લાગી જઇશું. અમે નો રિપીટ થિયરીનું સ્વાગત કરીએ છીએ. નો રિપીટ થિયરીનો સિદ્ધાંત બધા લોકોએ સ્વીકારવો જોઈએ.
આ અંગે અખિલ ભારતીય કોળી સમાજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. “જો કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવે તો તે સમાજનું અપમાન ગણવામાં આવશે અને આગામી વિધાનસભા બેઠકો પર ગંભીર અસર પડશે.” આ સાથે જસદણમાં કોળી સમાજની બેઠક મળી છે. જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે જસદણ વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા, જેઓ ભારતના 18 રાજ્યોમાં સારી એવી વસ્તી ધરાવતા કોળી સમાજના સંગઠન અખિલ ભારતીય કોળી સમાજ, અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજિત કોળી સમાજની વસ્તી 28%થી વધુ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાવા માટે 2018 માં નરેન્દ્રભાઈ મોદીના ઈશારે કોંગ્રેસ પક્ષ છોડીને આવેલા કુંવરજીભાઈને માનભેર કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવ્યું હતું અને તેઓની સાથે જિલ્લા અને તાલુકાના આગેવાનો તથા લોકો ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા.